વલ્લભદાસ નાંઢા
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કશું રહે ન રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડા આઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે વહેંચે છે એક પુસ્તક સ્વરૂપે. જેનું શીર્ષક છે ‘ત્રિખંડ ત્રિવેણી’. પૃથ્વીના ત્રણ ભૂખંડો પર જિવાયેલા જીવનની વાત કરતાં આ પુસ્તકના પ્રથમ ખંડમાં જન્મભૂમિ કુતિયાણામાં પરિવાર, ભેરુઓ, પાડોશીઓ તેમજ શિક્ષકો સાથે વિતાવેલ બાળપણને વલ્લભભાઈ મનોરમ્ય રીતે રજૂ કરી જીવંત બનાવે છે. બીજા ખંડમાં આફ્રિકામાં વિતાવેલા દિવસો, વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવા તરફની સફર અને સાહિત્યમાં ભરેલ પાપાપગલી વિષે પ્રેરક વાતો કરે છે. અને ત્રીજા ખંડમાં યુનાઇટેડ કિંગડમમાં નવેસરથી સ્થાયી થવાના રોમાંચક અનુભવો વચ્ચેનાં વ્યાવસાયિક સંઘર્ષ, પારિવારિક તાલમેલ અને વ્યાવહારિક સૂઝબૂઝનું હૃદયસ્પર્શી વર્ણન કરી લેખક પોતાના જીવનનાં સંસ્મરણોને તાજાં કરે છે. સ્થળોનું આબેહૂબ વર્ણન, અંતરમનમાં ચાલી રહેલ વિચારોનું સંવેદનશીલ નિરૂપણ અને પ્રસંગોનું રસાળ શૈલીમાં કરેલું લેખન એક સાધારણ માણસની અસાધારણ જીવનસફરને માણવાલાયક બનાવે છે.