અર્પણ ક્રિસ્ટી
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે. ગઝલલેખનનું અભિન્ન અંગ એટલે પ્રેમ, જેને મેળવવાની સુંદર રીત રજૂ કરતાં શેરોની સાથે બદલાતા જતા શહેરની તાસીર પણ તેમની ગઝલોમાં ઝીલાઈ છે. સત્ય પર આજ સુધી ઘણા શેરો કહેવાયા છે, પરંતુ અર્પણભાઈ સત્યને નોખી રીતે રજૂ કર્યું છે. જેના અસ્તિત્વને લઈને અનેક પ્રશ્નો છે તેવા ઈશ્વરના હોવાપણા વિશે કવિ હકારાત્મક અને વ્યંગાત્મક શેરો પણ આપે છે. ક્યાંક ગાંધી અને ખાદીને અભડાવતા આજના કહેવાતા રાજકારણીઓ પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો છે, તો ક્યાંક કૉમનમૅનના લોહી પર રેડ કાર્પેટ સુવિધા ભોગવતા આજના રાજનેતાઓ પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ઈસુ અર્થાત્ ઈશ્વર અને માનવી વચ્ચેનો ફરક દર્શાવતા ચોટદાર શેરો સંગ્રહની અનેક ગઝલોમાં જોવા મળે છે. સરળ-સહજ બાની, બોલચાલની ભાષાના રદીફ-કાફિયા અને પારંપરિક પ્રતીકોને નોખી રીતે પ્રયોજતી સંવેદનશીલ ગઝલોથી સભર આ સંગ્રહ પોતીકો અવાજ લઈને આવે છે જે વાચકોને આધુનિક ગઝલલેખનનો અનુભવ કરાવશે.