સુરેશ પરમાર ‘સુર’
બારમી સદીમાં ઈરાનમાં જન્મેલ મહાન વિભૂતિ જેમને ગણિતજ્ઞ કહેવા કે ખગોળશાસ્ત્રી, યંત્રવિજ્ઞાનના જાણકાર કહેવા કે ભૂગોળશાસ્ત્રી કે પછી ખનીજવિદ્યાના અભ્યાસુ કે સંગીતજ્ઞ તરીકે ઓળખવા? વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમર ખય્યામ સૌથી વધુ જાણીતા છે પોતાની દર્શનવિદ્યા એટલે કે સૂફી ફિલોસૉફી માટે.
તેમની આ ફિલસૂફી છલકાય છે તેમની રૂબાઈઓમાં. ઈશ્વરને પ્રિયતમા તરીકે સંબોધીને લખાયેલી ખય્યામની રૂબાઈઓના અનેક ભાષામાં અનુવાદ થયા. 19મી સદીમાં અંગ્રેજી લેખક એડવર્ડ ફિટ્ઝરાલ્ડે કરેલો તેમની 75 ઉત્તમ રૂબાઈઓનો અંગ્રેજી અનુવાદ સૌથી પ્રભાવી છે. સુરેશ પરમારે તેનો ગુજરાતી અનુવાદ કર્યો પુસ્તક ‘ખય્યામની સુરાહી’ સ્વરૂપે. મૂળ ઉર્દૂ-ફારસીમાં લખાયેલી આ રૂબાઈઓનો છંદોબદ્ધ ગુજરાતી અનુવાદ હઝજ બહેરમાં થયેલો છે.
સુરા, સુરાહી અને સાકી જેવાં પ્રતીકો દ્વારા ઈશ્વરને પ્રિયતમા માની તેને ચાહવાની અને પામવાની આ યાત્રા એટલે જ સૂફીવાદ, જેનું પ્રતિબિંબ ઉમર ખય્યામની દરેક રૂબાઈમાં જોવા મળે છે.