ધ્વનિલ પારેખ
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતાં વિષયો પર રચાયેલાં આ કાવ્યોમાંથી પસાર થતાં કવિની સચોટ અને નવીન અભિવ્યક્તિનાં દર્શન થયા વગર રહેશે નહીં. માતા-પિતા સાથેના પ્રેમાળ અને અજોડ સગપણને અહીં વેદનાસભર કાવ્યાંજલિ અપાઈ છે. પૂર અને લોકડાઉન જેવી આપત્તિઓથી વાલોવાયેલું કવિ હૃદય જ્યારે ફરિયાદનાં સૂર પોકારે છે ત્યારે જનસામાન્યની અવ્યક્ત વેદનાઓને જાણે ન વાચા મળી હોય..! પ્રિય પાત્ર સાથેનાં અનહદ આકર્ષણને વ્યક્ત કરતાં રતિકાવ્યોની શ્રુન્ખલામાં પ્રેમની તાજી પરિભાષા ખીલી ઉઠે છે. તો ક્યાંક જિંદગીના અંતિમ સત્ય એવા મૃત્યુને પોતાનાં કાવ્યોમાં જીવંત કરે છે. આમ રોજિંદી ઘટમાળ વચ્ચે કવિ હૃદયમાં ઝીલાતાં સંવેદનો જિંદગીને પારદર્શક રીતે જોવાની દ્રષ્ટિ ખોલી આપે છે. અછાંદસ કાવ્ય પ્રકારમાં નવીન કલ્પનોનાં પ્રાણ પૂરી જિંદગીના અનુભવોને અભિવ્યક્ત કરતો ધ્વનિલ પારેખનો તારોતાજા કાવ્યસંગ્રહ ‘પારદર્શક’ વાચકને અનેરા ભાવવિશ્વમાં લઈ જાય છે.