જિતેન્દ્ર પ્રજાપતિ
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે. આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે. જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે. સાંપ્રત ગઝલોમાં વધતા જતા શહેરીકરણ પ્રત્યેનો અણગમો જોવા મળે છે ત્યારે જિતેન્દ્રભાઈએ પણ એને પોતાની ગઝલોમાં વણ્યો છે.
આજે દરેક યુવાન સરકારી નોકરી મેળવવા ઇચ્છે છે, પરંતુ એ નોકરી સાથે જોડાયેલી પીડાને પણ કવિએ વાચા આપી છે. પ્રિયજનથી છૂટાં પડવું અસહ્ય હોય છે, પરંતુ આ ક્ષણને સહજ અને સહ્ય બનાવવા કવિ પ્રિયતમાને સંબોધીને પણ ગઝલ કહે છે. whatsapp અને ઈ-મેલના સમયમાં અચાનક જો પ્રિયજનનો પત્ર આવે તો કેવી લાગણી થાય! એ પણ કવિએ સુંદર રીતે આલેખી છે. ભયાવહ બનતા જતા સામાજિક વાતાવરણમાં જ્યારે પરિવારની દીકરી ઘરની બહાર જાય ત્યારે મનમાં જાગતી ભીતિને બયાન કરતો વાસ્તવિક શેર પણ કહ્યો છે. દુનિયા ઈશ્વરને મંદિર, મસ્જિદ અને ગિરજાઘરમાં શોધે છે. એ ઈશ્વરને કવિએ તેની શોધ માણસની ભીતર જ આદરી છે.
અઘરી રદીફ અને સરળ કાફિયા સાથે આસ્વાદ્ય ગઝલો આપનાર કવિ જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો આ સંગ્રહ વાચકોને નવા ભાવવિશ્વમાં લઈ જશે.