હેમંત ધોરડા
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે. ગઝલના મૂળ છંદોની સમજૂતી આપતાં અનેક પુસ્તકો લખાયાં છે, પરંતુ ગઝલ પારંપરિક ગુજરાતી કાવ્યપ્રકારોથી કેવી રીતે અલગ પડે છે? એને અલગ પાડતાં પરિબળો કયાં છે? ગઝલના અરબી-ફારસી છંદોમાં પ્રયોજાયેલા શબ્દો આપણા અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં પ્રયોજાય ત્યારે કઈ રીતે નોખા પડે છે? શું શિખરિણી, વસંતતિલકા જેવા પારંપરિક છંદોમાં લખાયેલી ગઝલને ગઝલ કહી શકાય? છંદદોષ, વર્ણદોષ અને વજનદોષ ક્યારે ઉદ્ભવે છે અને ગઝલમાં લીધેલી છૂટ ક્યારે માન્ય રાખી શકાય? ગઝલનું ભાવવિશ્વ શું છે અને તે અન્ય કાવ્યપ્રકારો કરતાં કેવી રીતે નોખી પડે છે?
ગઝલ સાથે સંકળાયેલા આ તમામ પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમજૂતી આપતા લેખોથી સભર આ પુસ્તકની આ સંવર્ધિત આવૃત્તિ ગઝલને વિશિષ્ટ કાવ્યપ્રકાર તરીકે સમજવામાં મદદરૂપ થાય છે. સાથે આ પુસ્તક ગઝલ અને અન્ય કાવ્યપ્રકારો વચ્ચેના તાણાવાણાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરી તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે, જે કવિતાનાં વિવિધ સ્વરૂપોમાં કામ કરતા સર્જકો, ગઝલ લખવા માગતા ઉત્સુકો તેમ જ ગઝલમાં પા પા પગલી ભર્યા બાદ આગળ વધતા સર્જકો માટે ઉપયોગી બની રહેશે.