શબનમ ખોજા
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે. શબનમની રચનાઓમાં આ આભિજાત્ય શબ્દે શબ્દે પરખાય છે.
અહીં સમાવિષ્ટ એની રચનાઓ જોતાં તરત જણાય છે કે એણે ગુજરાતી ગઝલની પરંપરાને આત્મસાત્ કર્યા પછી પોતાના શબ્દને પળોટ્યો છે. ગઝલના બાહ્યસ્વરૂપને અકબંધ સાચવી એ વિવિધ ભાવો અને વિચારોને અવનવા કાવ્યસંકેતો વડે છંદવૈવિધ્યથી પ્રગટ કરે છે. એનું ભાવવિશ્વ નિરાળું છે. તેમાં વિષાદની સમાંતરે જીવનનો ઉલ્લાસ પણ છે. વિચારોનું તર્કપૂત આલેખન છે તો સમજણપૂર્વકનાં નિરીક્ષણો પણ છે. તે દરેકમાં એનો કવિ-સ્વભાવ ખીલી ઊઠયો છે. એ ભાષાને ઉપયોગમાં લેવા કરતાં પ્રયોજવામાં વધુ માને છે. અને એટલે જ એની રચનાઓમાં ભાષાની સાદગીનું સૌંદર્ય પણ ધ્યાનપાત્ર બની રહે છે. એ સ્વસ્થ કવયિત્રી છે. એનામાં કોઈ ખોટા ધખારા કે ઊંડાં ગણિત નથી. એ શબ્દની નિરામય ઉપાસના કરે છે. શબ્દ એની પાસે સહજપણે સાક્ષાત્ થઈ જાય છે.