logo

તાત્પર્ય (Critical Appreciation)

તાત્પર્ય

કિશોર વ્યાસ

સાહિત્યની સમીક્ષાને પોતાના અભ્યાસનો વિષય બનાવનાર અભ્યાસુ કિશોરભાઈ વ્યાસે સાહિત્યનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિવેચનોના અભ્યાસ લેખો પ્રગટ કરાયા છે, જેમાં મુખ્યત્વે સામેલ છે વિવેચક રમણ સોનીના બારીક અને તટસ્થ વિવેચનકાર્ય વિશે વાત કરતો વિસ્તૃત લેખ છે.‌ વિવેચકનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજાવતા લેખ‌માં બ. ક. ઠાકોર, નર્મદ, નવલરામ, ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોના વિવેચન પરના આગવા વિચારો વ્યક્ત થયા છે. લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક લખાણોની સમીક્ષા કરતો લેખ તેમની સર્જનપ્રક્રિયા સમજવા માટે મદદરૂપ બને છે. સાહિત્યિક પત્રકારત્વ પરના અભ્યાસલેખો ઇન્દુલાલ યાજ્ઞિક અને કનૈયાલાલ મુનશીના સામયિક પત્રોના મહત્ત્વને સમજાવે છે. સાથે પત્રકારત્વમાં ગ્રંથાવલોકન અને વિશ્વમાનવનો સાહિત્યસંદર્ભ રજૂ કરતા લેખો પણ રુચિ જગાવે તેવા છે. પત્ર-સાહિત્યના અભ્યાસને રજૂ કરતા લેખોમાં રમણભાઈ નીલકંઠના પત્રો દ્વારા તેમની સાહિત્યકાર, સુધારક અને સંપાદક તરીકેની ઉમદા છબી ઊપસી આવે છે. જ્યારે કવિ કાન્તના પત્રો સાક્ષરયુગમાં રચાયેલા સાહિત્ય પર પ્રકાશ પાડે છે.‌ સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકર દ્વારા તેમની સેવિકા અને પુત્રીસમાન કુસુમ શાહને લખાયેલા પત્રો પરથી તેમની ઉત્તરાવસ્થામાં જિવાયેલી જિંદગીની ઝલક જોવા મળે છે.‌ જ્યારે ઝવેરચંદ મેઘાણી‌ દ્વારા આજીવન થયેલા પત્રવ્યવહારમાંથી તેમના અંગત અને જાહેર જીવનની ઝાંખી પ્રાપ્ત છે. ચોથા ભાગમાં પોતાની કેફિયત રજૂ કરતાં લેખકે વિવેચન અને સાહિત્ય અભ્યાસ માટેની પોતાની રુચિ, મહેનત અને અંતે પ્રાપ્ત થયેલા આનંદ વિશે વાત કરી છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની સમીક્ષા અને વિભાવના રજૂ કરતા આ લેખો ગુજરાતી સાહિત્યની શરૂઆતથી લઈને આજ દિન સુધીની સુદીર્ઘ યાત્રા કરાવે છે અને મહાન સર્જકોના સાહિત્યમંથનના નિચોડને વાચક સુધી પહોંચાડે છે.

₹350.00

  • Pages: 216 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Critical Appreciation
  • Dimensions: 144.00 cm x 220.00 cm
  • Weight: 148 gm
scroll-top