મણિલાલ હ. પટેલ
શ્રી સુરેશભાઈ જોષીનું સૌથી પ્રિય સાહિત્યસ્વરૂપ રહ્યું છે નિબંધો. તેમનો પ્રથમ નિબંધસંગ્રહ પ્રગટ થતાંની સાથે જ ગુજરાતી નિબંધનો ચહેરો-મહોરો બદલાઈ જાય છે અને અભિવ્યક્તિની નવીન આબોહવા સર્જાય છે. તેમના વ્યક્તિત્વનાં ભિન્ન પરિમાણો અને સર્જકચેતના તેમના નિબંધોમાં વિશેષ રૂપે નીખરી આવે છે.
સુરેશભાઈના છ નિબંધસંગ્રહોમાંથી ઉત્તમ અને પ્રધાન નિબંધોની ઝલક દ્વારા મણિલાલ આપણા સાહિત્યના ચિંતનશીલ નિબંધકારનો પરિચય કરાવે છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો અને ઋતુઓના બદલાતા પરિવેશને શબ્દબદ્ધ કરતા સુરેશભાઈના નિબંધોમાં પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા કેળવતી તેમની વ્યક્તિચેતનાનું પણ સહજ પ્રગટીકરણ જોવા મળે છે. સાહિત્ય અને કળા પરના તેમના નિબંધોમાં કવિ અને કવિતા તેમ જ કાવ્યતત્ત્વનો મર્મ જાણવા મળે છે. સાથે બદલાતા સમય સાથે ઊતરતા જતા સાહિત્યના સ્તર વિશે ચિંતા અને અણગમો પણ પ્રગટ થયાં છે.
સંવેદનશૂન્ય અને યંત્રવત્ બનતા જતા સમાજજીવન અને શહેરી પરિવેશને લઈને પોતાની વેદના પણ નિબંધો દ્વારા રજૂ કરી છે. આપણા શિક્ષણના પાયામાં રહી ગયેલી મુશ્કેલીઓ અને કચાશો વિશે આપણું ધ્યાન દોર્યું છે અને એક ઉત્તમ શિક્ષણવ્યવસ્થા રચવા માટેના સિદ્ધાંતોને ઉજાગર કર્યા છે.
પ્રકૃતિ અને સંસ્કૃતિ, સંવેદન અને માનવજીવનને સમાવી લેતા સુરેશભાઈ જોષીના નિબંધોમાં તેઓ માત્ર એક ચિંતક તરીકે જ નહીં, પરંતુ સંવેદનશીલ સર્જક તરીકે પણ નીખરી આવે છે. સાહિત્યને જીવનપરિવર્તનના માધ્યમ તરીકે જોનારા સુરેશ જોષીના નિબંધો આજના સર્જકો માટે દીવાદાંડી બની રહેશે.