ભરત દવે
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ એકબીજાના પર્યાયો નથી, બંને સમાનાર્થી નથી. કેમ કે દેશપ્રેમ સહજ, સ્વાભાવિક, કુદરતી છે. જેમ તમને તમારો પરિવાર વહાલો છે એવી જ રીતે જે દેશમાં તમે જન્મ્યા એ દેશ પ્રતિ તમને અાપમેળે જ વહાલ ઊપજે છે, જ્યારે ‘રાષ્ટ્રવાદ’ બહારથી થોપવા અાવતો ખ્યાલ છે. આ રાષ્ટ્રવાદનાં સારાં-નરસાં પાસાં ચકાસવાં એ જ આ લખાણનો મુખ્ય આશય છે. આમ તો રાષ્ટ્રવાદ દેશનાં વિવિધ જૂથો કે વર્ગો વચ્ચેની એકતા સ્થાપિત કરવામાં ચોક્કસ ઉપયોગી નીવડી શકે, બશર્તે કે એ રાષ્ટ્રવાદ સર્વસમાવેશક (inclusive) હોય. જે રાષ્ટ્રવાદ પ્રજાના ‘અમુક વર્ગ કે વર્ગો’ની બાદબાકી કરી ‘બાકીનાઓ’ને એક રહેવાની હાકલ કરતો હોય તે રાષ્ટ્રવાદ ખતરનાક છે, સંકુચિત છે, વિધ્વંસકારી છે અને ખાસ તો દેશ અને દુનિયા માટે ભારે ચિંતાજનક છે. આવા રાષ્ટ્રવાદ માટે સૌ કોઈએ સવેળા ચેતી જવાની જરૂર છે.