યોગેશ જોષી
એક કવિ અને સર્જક તરીકે યોગેશભાઈ ગુજરાતી સાહિત્યના છેલ્લા છ દાયકાના પ્રતિનિધિ કવિઓ અને સાહિત્યકારોની નિકટ રહ્યા છે. આ સંદર્ભે આ ઉત્તમ સાહિત્યકારોના અવસાન પર યોગેશભાઈએ તેમનાં સંસ્મરણો અને યોગદાનને વાગોળતા તૈયાર કરેલા શ્રદ્ધાંજલિ લેખોનો સંચય આ પુસ્તકમાં જોવા મળે છે.
અવસાનના સમાચાર મળતાં જ ભારે હૈયે અને ધ્રૂજતા પગે સર્જકને અંતિમ વિદાય આપવા જતાં યોગેશભાઈના માનસપટલ પર દરેક લેખકનો એક ભવ્ય ભૂતકાળ જીવંત થઈ આવતો. તેમની ઉત્તમ કૃતિઓનો શબ્દધ્વનિ પડઘાતો. આ સંસ્મરણો સાથે તેમનાં અંગત સંવેદનો ભેળવીને તેઓએ દરેક સાહિત્યકારને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં દરેક લેખમાં તેમના જીવન-કવનની ઝરમર પ્રસ્તુત કરી યોગેશભાઈએ જૂના દિવસોની સફર કરાવી છે. ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ભોગીભાઈ ગાંધીથી શરૂ કરીને કવિ ઉશનસ્, લાભશંકર ઠાકર, નિરંજન ભગત, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી જેવા કવિઓના જન્મથી લઈને અભ્યાસ સુધીથી તેમ જ તેમની સર્જક બનવા માટેની ધગશ અને પરિશ્રમની વાતો અહીં ટાંકી છે. રમણલાલ સોની, રમણલાલ જોશી, ભોળાભાઈ પટેલ અને બકુલ ત્રિપાઠી જેવા ગદ્ય લેખકોને પણ નિકટથી જાણવા અને સમજવાનો મોકો આ લેખોમાં મળે છે.
આ તમામ સર્જકોના પારિવારિક વાતાવરણ અને અંગત જીવનના મહત્ત્વના પ્રસંગો દ્વારા સર્જકના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. સર્જકોના અંતિમ દિવસોનો ચિતાર અને તેમના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહેલી સર્જક ચેતનાને યોગેશભાઈએ આ લેખોમાં શબ્દબદ્ધ કરી છે. દરેક લેખમાં જે-તે સર્જકની ઉત્તમ અને પ્રચલિત રચનાઓનો આસ્વાદ કરાવી યોગેશભાઈએ ગુજરાતી સાહિત્યની સોડમ પ્રસરાવી છે. શ્રદ્ધાંજલિરૂપે લખાયેલા આ લેખો વાચકને ગુજરાતી સાહિત્યના કેટલાક ધ્રુવતારક સર્જકોને જાણવા અને માણવાનો મોકો આપે છે.