રઇશ મનિઆર
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી
રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી
આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની રહે, એવી પ્રાસાદિક અને રુચિકર છે.
જન્મ અને મૃત્યુ એ બે બિંદુઓની વચ્ચે આપણાં જીવનની આગવી સફર ફેલાયેલી પડી છે. આ સફરમાં સહુ કોઈના પોતાના અંગત તડકા-છાંયડા હોય છે, પણ આવી ગઝલોના કોઈ મુકામ પર થાકેલ મુસાફર ભેગા થાય છે ત્યારે પોતાનાં સુખ-દુઃખ, આશા-નિરાશા અને શ્રદ્ધા-અશ્રદ્ધામાં સામ્ય નિહાળી શકે છે. પછી તો જે અનુભવ થાય છે, એ શુદ્ધ સહૃદયતાનો હોય છે.
અહીં ‘કેવળ સફરમાં છું’ના પૃષ્ઠો પર કવિ રઈશ મનીઆરે સફરના અમુક વળાંકો અને પડાવો રદીફ-કાફિયામાં ગૂંથી લીધા છે. કોઈ વિચારધારા, કોઈ પંથ, કોઈ વાદ, કોઈ સંપ્રદાય કે કોઈ શાસ્ત્રનું શરણ લીધા વિના માત્ર માનવીયતાનું ગૌરવ કરતી કવિતાઓની એક માળા રચી છે. કવિએ પોતાના મનની અલગઅલગ બારીઓમાંથી દેખાતા આકાશના ટુકડાઓને સાંધીને ચંદરવો બનાવવાનો એક રમ્ય પ્રયાસ કર્યો છે. એની નીચે ઘડીક બેસવાથી બીજો તો કોઈ ચમત્કાર નહીં થાય, પણ કાવ્યપ્રેમીને બે ઘડી રાહત અચૂક મળશે.
જ્યારે એ જાણ થાય છે કે મારું કંઈ નથી
એ પળ પછી તો શાયરીથી સારું કંઈ નથી
કેડી ન હો, કે નકશો ન હો, એ તરફ જવા
એક કાવ્યની કડી સમું પરબારું કંઈ નથી
બેહતરીન ગઝલોના આ સંગીન અને રંગીન ઉપવનમાં આપનું સ્વાગત છે.