દીનેશ પરમાર (ડૉ.)
વિશ્વમાં ઉત્તમ ગણાતું કાર્ય એટલે ‘શિક્ષણ’. વ્યક્તિના જીવન અને ચારિત્રઘડતર માટે આધારભૂત ગણાતું આ કાર્ય સાંપ્રત સમયમાં તેના મૂળ ઉદ્દેશ્યથી વેગળું થઈ રહ્યું છે ત્યારે શિક્ષણકાર્યને પોતાનું જીવનધ્યેય બનાવી વિદ્યાર્થીઘડતરને સમર્પિત શિક્ષક દિનેશભાઈ પરમાર પોતાના આગવા વિચારો આ પુસ્તક દ્વારા રજૂ કરે છે.
શિક્ષણની વિવિધ ગતિવિધિઓ અને સાંપ્રત પ્રવાહોથી હંમેશાં અવગત રહેનાર દિનેશભાઈ બાળકો, શિક્ષકો અને સમાજને પ્રેરણા મળે તેવા ૨૧ શૈક્ષણિક લેખો દ્વારા પોતાનું મનન અને ચિંતન પ્રગટ કરે છે.
આ લેખો વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને નાથવા વિશે વાત કરે છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રવાસનું મહત્ત્વ સમજાવતાં ઉત્તમ પુસ્તકોનો પરિચય કરાવે છે.
તરુણાવસ્થામાં કિશોરોમાં આવતાં શારીરિક પરિવર્તનોની સાથે માનસિક ફેરફારો પ્રત્યે સજાગ રહી તેમના ભાવજગતમાં ડોકિયું કરવાનો પ્રયત્ન કરે છે.
મોબાઇલનાં બંધાણી બનતાં જતાં બાળકોને મોબાઇલ દ્વારા થતા નુકસાનથી બચવા વૈજ્ઞાનિક ઉપાયો પણ સૂચવે છે અને ડૉ. બી. આર. આંબેડકરના ઉત્તમ શૈક્ષણિક વિચારોનું આચમન પણ કરાવે છે.
બાળકોના વ્યક્તિત્વવિકાસ માટે હંમેશાં તત્પર રહેતા લેખક દિનેશભાઈનાં ઝીણવટભર્યાં અવલોકનો અને તલસ્પર્શી અભ્યાસના તારણસમા આ લેખો દરેક શિક્ષક, વિદ્યાર્થી અને વાલી માટે પથદર્શક બની રહેશે.