સંપાદક : મકરંદ મહેતા
પ્રો. ભીખુ પારેખ એક વૈશ્વિક પ્રતિભા... એક રાજકીય અને સામાજિક તત્વચિંતક... જેમના લેખો અને વ્યાખ્યાનોનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. વિવિધ સંસ્કૃતિઓ અને રાજકીય પરિપ્રેક્ષ્યના તુલનાત્મક અભ્યાસ બાદ ભીખુભાઈની ફિલોસોફીએ બહુસંસ્કૃતિવાદના વિચારને જન્મ આપ્યો અને સામાજિક એકસૂત્રતા અને સામૂહિક ઓળખને મહત્ત્વ આપ્યું. તેમના આ જ વિચારોએ તેમને બ્રિટનમાં ‘લૉર્ડ’ અને ભારતમાં ‘પદ્મભૂષણ’ની ઉપાધિ અપાવી. સમાજવાદ અને સંસ્કૃતિ જેવા પાયાના વિષયો પર નવીન વિચારો પ્રગટ કરી નૈતિક મૂલ્યોના આધાર પર સમાજરચનાની વાત કરતા પ્રો. ભીખુ પારેખનાં અનેક વક્તવ્યો અને લખાણો આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.
ગાંધી વિચાર અને ચિંતન, ગાંધી અને ઓસામા બિન લાદૅન વચ્ચે કાલ્પનિક સંવાદ, સૌદર્યશાસ્ત્ર અને ડૉક્ટર આંબેડકર વિશે તેમના ગહન અને તલસ્પર્શી વિચારો રજૂ કરતા લેખો અહીં પ્રસ્તુત છે. વરિષ્ઠ ઇતિહાસવિદ, સંશોધક અને લેખક મકરંદ મહેતા દ્વારા સંપાદિત અને તેમના અવસાન બાદ સારસ્વત કવિ સિતાંશુ યશશ્ચંદ્રનાં પ્રયાસો અને પૂરોવચન સાથેનું આ પુસ્તક પ્રોફેસર ભીખુ પારેખે આજ સુધી કરેલ તત્વચિંતનની સાધનાનો નીચોડ છે. દરેક ગુજરાતીને જેમના પર ગર્વ થાય એવા પ્રોફેસર ભીખુ પારેખનો પરિચય અને પરીક્ષણ કરાવતુ આ પુસ્તક આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી નીવડશે.