કેસર મકવાણા
સાવરકુંડલાના કાઠી સપૂત અને સાહિત્ય ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા નાનાભાઈ જેબલિયા ‘કાઠી કલમ’ના ઉપનામથી જાણીતા છે. પદ્ય સિવાય લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર નાનાભાઈએ વિવિધ સાહિત્ય કૃતિઓનું વિપુલ સર્જન કર્યું છે. ધૂળના કુળના સર્જક તરીકે ઓળખાતા નાનાભાઈના સાહિત્યનું મૂળ લોકજીવનમાં રહેલું છે. પોતાની માટીની વાર્તાઓને કથાના વેશમાં ઢાળી અને રંગી છે અને પોતાના અલગ કસબની ભાત ઊપસાવી છે. આપણી ભાષાના આ અનન્ય સર્જકના સર્જનને પોંખતાં આ પુસ્તકમાં સાહિત્યના વિદ્વાનોએ તેમના સર્જનની ખૂબીઓ અને વિશેષતાઓ વિશે ખૂલીને વાત કરી છે. શુદ્ધ સાહિત્યિક વિવેચનાની પરિપાટીએ નાનાભાઈના સર્જનને મૂલવવાનો આ ક્રમ પુસ્તકને એક અધ્યયન ગ્રંથ બનાવે છે, જેમાં તેમના નિરાળા વ્યક્તિત્વ અને સર્જન વિશેની પરિપૂર્ણ માહિતી મળે છે.
પ્રસ્તુત પુસ્તકમાં ૧૬ જેટલા સાહિત્યકારોએ નાનાભાઈના સર્જન પર આપેલાં વક્તવ્યો અને મંતવ્યો સામેલ છે. ક્યાંક તેમની કથન અને બોલીમાં વિશિષ્ટ એવી વાર્તાની સમીક્ષા કરાઈ છે. તો ક્યાંક તેમની સંતકથાઓ અને હાસ્ય સાહિત્યની વિશેષતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો વળી ક્યાંક નાનાભાઈના સાહિત્યમાં થયેલા લોકવારસાના જતનને વધાવવામાં આવ્યું છે.
ગુજરાતી ભાષાના લોકલાડીલા સર્જક નાનાભાઈ જેબલિયાના સર્જનને જાણવાનો અને માણવાનો મોકો આપતું આ પુસ્તક ગદ્ય સાહિત્યમાં રસરુચિ ધરાવતા વાચકો અને સર્જકો માટે માર્ગદર્શક સાબિત થશે.