તુષાર વ્યાસ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત.
જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અને તેના સ્વરૂપમાં સમયાંતરે ફેરફારો આવતા ગયા છે અને ન્યાયની પ્રક્રિયા વધુ સુગમ, પારદર્શક અને નિષ્પક્ષ બનતી આવી છે.
આ કામમાં અનેક વરિષ્ઠ અને નિષ્ઠાવાન કાયદાવિદોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.
કાયદાની કલમોમાં ફેરફારથી લઈને કેસ દાખલ કરવા સુધીનાં દરેક તબક્કે સામાન્ય નાગરિક માટે ન્યાયની પ્રક્રિયા સુગમ બનાવનાર આ કાયદાવિદોના અનન્ય યોગદાનથી આજની પેઢીના ન્યાયાધીશો, વકીલો અને કાયદાવિદોને અવગત કરાવવા સુપ્રસિદ્ધ વકીલ તુષાર વ્યાસ તેને પુસ્તકનું સ્વરૂપ આપે છે જેનું શીર્ષક છે - ન્યાયનાં મેરુશિખરો.
કાયદાનાં વિવિધ પુસ્તકો કોલેજથી લઈને કોર્ટ સુધી પહોંચાડવાની વાત હોય કે વકીલો માટે સ્ટડી સર્કલનો નવતર પ્રયોગ હોય.
કટોકટી સમયે બંધારણ વિષે સમાજને જાગૃત કરવો હોય કે વકીલોના હકો માટે અવાજ ઉઠાવવો હોય.
કાયદાના વિવિધ સ્તરે અનેક નવતર પહેલ કરનાર ૧૮ કાયદાવિદોના શબ્દચિત્રો રજૂ કરતું આ પુસ્તક તેમના જીવન અને ન્યાયકર્મની ઝાંખી તો કરાવે જ છે. સાથે તેમનાં પ્રસંગો આવનારી પેઢીને પ્રેરણા પણ આપે છે.