રૂપા મહેતા (ડૉ.)
જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924-2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું. વ્યક્તિગત કે વ્યાવસાયિક રીતે તેમના સંપર્કમાં આવનાર અનેક લોકો વસુબહેનના સૌંદર્ય, ઐશ્વર્ય અને જાહેર જીવનના કર્તવ્યથી પ્રભાવિત થઈને તેમને હંમેશા યાદ કરતા. તેમાંથી કેટલીક વ્યક્તિઓએ લખેલાં વસુબહેન વિશેનાં સંભારણાંનું ‘વસુબહેન એટલે વસુબહેન’.
પુસ્તકના 43 લેખકોમાં વસુબહેનના કાર્યકાળમાં કામ કરી ચૂકેલા પ્રસારણકર્મીઓ તથા બેએક પેઢીના સંગીતકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો છે. પુસ્તકના 164 પાનાંમાંથી છેલ્લાં ફર્મામાં તેમના સંગ્રહના ચાળીસ આલબમોમાંથી પસંદ કરેલી છત્રીસ તસવીરો છે પુસ્તકની મિરાત છે.
આકાશવાણીમાં ચાલતી અમલદારશાહીમાં સર્જનાત્મકતા નડતા અવરોધો સાથે તેમણે પોતાના દમામ અને ચાતુરીથી કેવી રીતે કામ પાડ્યું તેના પ્રસંગો અહીં છે.એક નવરાત્રીએ અને હોળીએ તેમણે રડિયો માટે ખુલ્લાં મેદાનમાં, રીપિટ ખુલ્લાં મેદાનમાં, કરાવેલાં ‘હે મા ત્વમેવ સર્વમ’ અને ‘રંગ દે ચુનરિયા’ નામના ભવ્ય કાર્યક્રમોને પુસ્તકમાં અધઝાઝેરા લેખકોએ યાદ કર્યા છે.