ચન્દ્રકાન્ત ટોપીવાળા
કવિ ચંદ્રકાન્ત ટોપીવાલા જીવનની દરેક ક્ષણ અને દરેક અનુભૂતિને કાવ્યમાં રૂપાંતરિત કરવા હંમેશાં સજાગ હોય છે. આવું તમે પણ માનશો જ્યારે એમના તરોતાજા કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માંથી પસાર થશો. પોતાની દીર્ઘકાલીન સર્જનયાત્રાના પરિપક્વ પડાવ ઉપર આવી કવિ ‘વૃદ્ધસંહિતા’ રચતાં થોડામાં ઝાઝેરા આનંદની અનુભૂતિ કરાવે છે. નદીઓ અને ઝરણાં તો સૌને આકર્ષે, પણ આ કવિને ધોધ પણ એટલા જ આકર્ષે છે અને તેથી આલેખે છે ‘ધોધકથા’. ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાને પોતાની કવિતામાં સ્થાન આપી રચે છે સૉનેટ. તો ઘરમાં આવેલા રસોઈઘર જેવી સામાન્ય જગ્યા પર રચે છે ‘સાત કાવ્યનું સપ્તક’. મોરબીનો પુલ તૂટવાની ઘટના કવિને હચમચાવી નાખે છે અને એની ફલશ્રુતિરૂપે આપણને મળે છે ‘સેતુભંગ’ નામે સૉનેટ. તો ક્યાંક જપાનીઝ હાઇકુના ચમકારા પણ જોવા મળે છે. ગીતો, સૉનેટ, હાઇકુ, અછાંદસ...
આમ વિવિધ કાવ્યસ્વરૂપોને અજમાવી અનેરું ભાવવિશ્વ સર્જનાર કવિ ચંદ્રકાન્ત ટોપીવાલાનો નવો કાવ્યસંગ્રહ ‘કાલવેગ’ પારંપરિક છંદોમાં આધુનિક કાવ્યતત્વનો અનુભવ કરાવે છે.