રીના પરીખ
પ્રેમ, વિરહ, ખુમારી, ખાલીપો, દર્દ જેવાં સંવેદનો ગઝલના શ્વાસ છે. રીનાબહેનની ગઝલોમાં આ તમામ સંવેદનો અલગ રીતે ખીલી ઊઠ્યાં છે. કોઈ વ્યક્તિ સાથે એકથી વધુ વખત થતા મિલનમાં કવયિત્રીને કોઈ વિશેષ સંબંધની શક્યતાનો અણસાર આવે છે. પ્રિયપાત્રનું દર્શન જીવન માટે પ્રાણપોષક હોય છે. જીવનમાં આવતા ઉતાર-ચડાવની વચ્ચે આપણને ટટ્ટાર ઊભા રાખે છે ખુમારી. પૈસાની વચ્ચે અને પૈસા માટે જીવતો માણસ સંવેદનની દૃષ્ટિએ રૂક્ષ થતો જાય છે. સાચું સગપણ તો રમતોથી પર હોય છે. જીવનના માર્ગમાં ફૂલો આવકાર્ય છે, પરંતુ કવયિત્રીના કોમળ હૃદયને તે પણ પસંદ નથી. ગઝલમાં જરૂરી એવા તમામ ભાવોની સાથે કવયિત્રીએ ફિલોસૉફીને પણ પોતાના અંદાજમાં બયાન કરી છે. લાંબી-ટૂંકી બહેર અને પરિચિત છતાં નવા લાગતા રદીફ-કાફિયા સાથે લખાયેલી આ સંવેદનશીલ ગઝલો વાચકોને નવા ભાવવિશ્વમાં લઈ જઈ રસતરબોળ કરી મૂકશે.