જિગીષા પાઠક
બદલાતા સમયની સાથે માણસનું સંવેદનવિશ્વ પણ બદલાતું રહ્યું છે. વ્યાવહારિક રીતે સમાજની વચ્ચે રહેતો માણસ ભીતરથી એકલો જણાય છે. માણસની ભીતર ચાલતાં આવાં જ અકથ્ય સંવેદનોને વાર્તાનું સ્વરૂપ આપ્યું છે જિગીષાબહેને.
ઓછાં પાત્રો દ્વારા કહેવાયેલી આ વાર્તાઓ અલગ જ પરિવેશ ઊભો કરી ભાવકના ચિત્તમાં આગવી છાપ અંકિત કરે છે. પ્રસ્તુત સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ જિવાતા જીવનના અભિગમમાંથી પ્રગટેલી છે. જિગીષાબહેનની કલમે પાત્રો સાથે બનતી ઘટનાઓને તો ઝીલી જ છે, પરંતુ ઘટના બાદ પાત્રના હૃદયમાં ઊભરતાં સંવેદનોને પણ વાચા આપી છે. કેટલીક વાર્તાઓ નિર્જીવ છતાં પાત્રો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી વસ્તુઓને સૂત્રધાર બનાવી કહેવામાં આવી છે, જે વાર્તાના પોતને વધુ બળકટ અને પ્રયોગશીલ બનાવી વાચકની રસરુચિને પોષે છે. વાર્તાઓની રસાળ શૈલીમાં પરિપક્વતા અનુભવાય છે. કોઈ પણ પ્રકારનો સંદેશ કે શિખામણ આપવાના ઉદ્દેશ વગર લખાયેલી વાર્તાઓ સરળ અને સહજ રીતે વાચકના મનને સ્પર્શી જાય તેવી છે.
પ્રેમ, ખાલીપો, ડર, અતીત, એકલતા, અફસોસ જેવા ભાવોને સપાટી પર લાવી માનવમનની સંકુલતાને આલેખવાનો સફળ પ્રયાસ આ વાર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે જે દરેક વાચકને સ્પર્શી જશે. તેમ જ વાર્તાના અભ્યાસુઓ માટે અભ્યાસનો વિષય બની રહેશે.