ઇન્દ્રધુમ્ન સ્વામી
ઇસ્કોન સંપ્રદાયના વરિષ્ઠ સંત શ્રી ઇન્દ્રદ્યુમ્ન સ્વામી લિખિત પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક ‘ઍડવેન્ચર ઑફ અ ટ્રાવેલિંગ મોન્ક’નો ગુજરાતી ભાવાનુવાદ ‘સાધુ તો ચલતા ભલા’. પૂર્વાશ્રમમાં અમેરિકાની મરીન સેવામાં ફરજ બજાવતો એક અમેરિકન સૈનિક વહેલો ફરજનિવૃત્ત થઈને પોતાના જીવન પ્રત્યેના સંશયોનો ઉત્તર મેળવવા ઇસ્કોન ચળવળમાં જોડાય છે. પ્રથમ મુલાકાતમાં જ ઇસ્કોનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી એ. સી. ભક્તિવેદાંતજીની દિવ્યતા અને ચેતનાસભર વ્યક્તિત્વનો સંસ્પર્શ પામી તેમનો દીક્ષિત શિષ્ય બને છે અને ઇન્દ્રદ્યુમ્ન સ્વામી તરીકે નવજીવન શરૂ કરે છે. ઇન્દ્રદ્યુમ્ન સ્વામીને વિશ્વના વિવિધ દેશોમાં હરેકૃષ્ણ મિશનનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ સોંપાય છે. તેમના લગભગ પાંચ દાયકાના સેવાકાળ દરમિયાન થયેલા અનુભવો આ પુસ્તકમાં સામેલ છે જે તેમની કૃષ્ણપ્રીતિ, અતૂટ શ્રદ્ધા, અખૂટ ધીરજનો પરિચય કરાવે છે. તેમની અપાર કરુણા, કૃષ્ણભક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ આશ્ચર્ય પમાડે તેવાં છે. આ પુસ્તકમાં પોલૅન્ડ, રશિયા, ક્રોએશિયા, બોસ્નિયાના સારાયેવા, ઇન્ડોનેશિયા, ભૂતાન વગેરે દેશોની મુલાકાત દરમિયાન થયેલા અદ્ભુત અનુભવોને વ્યક્ત કર્યા છે. કોરોના દરમિયાન તેમનો વૃંદાવનમાં દીર્ઘ નિવાસ અને ત્યાંની વાતો પ્રેરણાનું સોપાન બની જાય તેવાં છે. શ્રી ઇન્દ્રદ્યુમ્ન સ્વામીની આ યાત્રા વાચકોને હરેકૃષ્ણ આંદોલનની વ્યાપકતાથી પરિચિત કરાવી કૃષ્ણ પ્રત્યેની આસ્થાને દૃઢ બનાવે છે.