સુજ્ઞા શાહ
બંગાળી સાહિત્યનું સન્માનનીય નામ એટલે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. ‘દેવદાસ’, ‘પરિણીતા’ જેવી અમરકથાઓના સર્જકની આ કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. એક ઉત્તમ કોટિના વાર્તાકાર હોવાની સાથે સાથે શરદચંદ્ર ખૂબ સારા કથાકાર પણ હતા અને તેમના લખાણ કરતાં તેમની વાર્તા કહેવાની રીત વધારે મનોરંજક હતી. બંગાળ, બિહાર અને બર્મા જેવા પ્રદેશોમાં પ્રવાસ દરમિયાન શરદબાબુ ઘણા અંતરંગ મિત્રો અને લોકો સાથે બેઠકો જમાવી પોતાના અનુભવો તેમને સંભળાવતા. દેવદેવીઓ, ભૂતો, ગુરુઓ, ડૉક્ટર-વૈદ્યો, સ્ત્રીઓ, જીવન, મૃત્યુ; આ તમામ વિષયોને આવરી લઈ તેઓ લોકોને એક અનેરા ભાવવિશ્વમાં લઈ જઈ હસતા-રડાવતા અને અભિભૂત કરી મૂકતા. શરદચંદ્રની આવી જ બેઠકોની વાતો તેમના શ્રોતાઓના મુખે અવારનવાર સાંભળવા મળતી અને ક્યારેક કેટલાંક સામયિકોમાં પ્રકાશિત પણ થતી.
ગોપાલચંદ્ર રાય આવી જ અનેક બેઠકોની વાતોને એકઠી કરી એક સંચયરૂપે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ વાર્તાઓમાં એ સમયના સમાજજીવનનું આબેહૂબ પ્રતિબિંબ જોવા મળે છે. સાથે અંધશ્રદ્ધા, કુરિવાજો, સામાજિક દૂષણથી ખરડાયેલા દંભી સમાજને ખુલ્લો પણ પાડે છે. આ બેઠકી વાર્તાઓમાંથી વાચકોને બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકાર શરદચંદ્રનો બહોળો પરિચય મળે છે. દરેક વાર્તા વાચકને મનોરંજનની સાથે મનોમંથન કરવા તરફ દોરી જાય છે.