ચન્દ્રકાન્ત શેઠ
‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ - આ પ્રશ્નને લઈને શબ્દના સથવારે સ્વયંની ખોજ પર નીકળેલા કવિ, વાર્તાકાર, નિબંધકાર અને સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠની ચુનિંદા શ્રેષ્ઠ રચનાઓને માણવાનો અવસર એટલે પુસ્તક ‘શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ’. જેમાં સામેલ છે તેમના પવન રૂપેરી, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં જેવા અનેક કાવ્યસંગ્રહોમાંથી ચૂંટેલાં શ્રેષ્ઠ કાવ્યો. ‘નંદ સામવેદી’ અને ‘ભાઈ રામ’ રૂપે એમણે લખેલા આત્મદર્શી નિબંધોમાંથી ઉત્તમ નિબંધો. શૈશવની શેરીઓમાં જઈ બાળપણના ચંદરિયા, ચંદુડિયા, બચુડાને યાદ કરી ‘ધૂળમાંની પગલીઓ’ શીર્ષક હેઠળ રચેલી સ્મરણકથાઓ. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા સર્જેલાં અનેક બાળકાવ્યો. વળી વિવિધ પ્રકારોમાં ખેડાણ કરતી એમની કલમે લખાયેલ યાદગાર એકાંકીઓ, ટૂંકી વાર્તાઓ તેમ જ ‘એ અને હું’ નામે હાસ્યકથાઓ. અનેક પારિતોષિકોથી સન્માનિત પ્રમુખ સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠની ઉત્તમ રચનાઓને, વિવેચનો, અનુવાદો અને સંપાદનોને એકસાથે રજૂ કરતું યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી અને ઊર્મિલા ઠાકર સંપાદિત પુસ્તક : શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ.