ચન્દ્રકાન્ત શેઠ
આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે. આ તબક્કામાં જાત સાથે થયેલી વાતોને અભિવ્યક્ત કરી કવિએ અનેક કાવ્યોમાં ઢાળી છે જે આ કાવ્યસંગ્રહની વિશેષતા છે. ક્યાંક કોઈ ગીતમાં કવિ સુખ દુઃખના સાથીને ખોયાની વેદના સુંદર રીતે વ્યક્ત કરે છે. તો ક્યાંક વળી આ પામર ખોરડાને ઘર સાથે સરખાવી જીવનનાં અંતિમ સત્યનો સ્વીકાર કરવા સજ્જ હોવાનો પુરાવો આપે છે. કોઈ પડાવ પર ક્ષણભંગુર જીવનમાં બધું ખોયા પછી મળેલા ખાલીપાને ઉજવે છે પોતાનાં કાવ્યોમાં, તો ક્યાંક શિયાળુ તડકા સાથે મિત્રતા કરતા પોતાનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરે છે. અને પોતાનો સ્થાયીભાવ વ્યક્ત કરવા પોતાનાં જન્મને માત્ર એક મુલાકાત કે ફેરો ગણી પરમતત્ત્વનો આભાર માનતા કાવ્યો પણ રચે છે.
કલમના સહારે પરમની યાત્રા પર નીકળેલા કવિ ચંદ્રકાન્ત શેઠનો આ નવો કાવ્યસંગ્રહ પ્રકૃતિ, પરમાત્મા અને પોતાપણા સાથે તાદાત્મ્ય કેળવી ભાવકોને શુદ્ધ કાવ્યોનો રસાસ્વાદ કરાવે છે.