કાનજી પટેલ
આદિવાસી, દેશી સમાજ અને તેમના સાહિત્ય વિશેના લેખો ધરાવતા આ પુસ્તકમાં કાનજીભાઈ આદિવાસી સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને સર્જનવિશ્વમાં લઈ જઈ તેનો પરિચય કરાવે છે. પ્રકૃતિના ખોળે વસનાર, તેની રક્ષા કરનાર અને સૂર્ય, ચંદ્ર, તારા, નદી, પર્વતોને પોતાનો પરિવાર માનનાર આદિવાસીની જીવનશૈલી અને સર્જનશીલતાનાં મૂળ ક્યાં છે તેની વિગતવાર વાત અહીં કરવામાં આવી છે. દેશ, દેશીપણું અને દેશીવાદના ખ્યાલને આધારે આદિવાસી જનજીવન અને તેમના સાહિત્યને મૂલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિરક્ષર હોવા છતાં ગણતર, ડહાપણ અને જ્ઞાનની પરિભાષા દ્વારા વિશ્વ સાથે સંચારસેતુ બાંધતા આદિવાસીના અભણ અક્ષરો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે મેળા, ટાણાં, પ્રસંગોમાં ગવાતાં ગીતો અને કરાતાં નૃત્યોમાં રહેલી અનેક લોકકથાઓનું વર્ણન છે. હોંકારો દેતા અને ઝીલતા, એકમેકને કિકિયારીઓ કરતાં આદિવાસી સર્જનોમાં રહેલા પ્રાકૃતિક સંકેતો અને તેમની પીડાના અવાજને વાચક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમકાલીન આદિવાસી કવિતામાં પડઘાતા તેમનાં ભાવભૂગોળ અને સામુદાયિક સંવેદનોને ઉકેલવાનો અને તેને સમષ્ટિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. સાથે ગુજરાતી સાહિત્યમાં થયેલાં આદિવાસી સર્જનોના અમૂલ્ય ફાળાથી વાચકને અવગત કરાવવામાં આવ્યો છે. ભારતભરમાં પ્રસરેલા આદિવાસી સમુદાયોની વંશીય, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતામાં ભજવાતાં વિવિધ મૌખિક મહાકાવ્યો વિશે સુંદર વાત રજૂ કરવામાં આવી છે. ભારતીય કલાક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરનાર આદિવાસી સાહિત્યકારો, કથાકારો, કવિઓ અને સર્જકોનો પરિચય આપી તેમના સર્જનમાં રહેલી સર્વસ્વીકારની ભાવનાને સમજવામાં આવી છે.
વર્ષોથી અલિપ્ત રહી જીવતા આવતા આદિવાસી સમુદાયના કલાત્મક અને સાહિત્યિક યોગદાન પર પ્રકાશ પાડવાનો આ પ્રયાસ તેમની સંસ્કૃતિને ટેકો આપવા તરફનું એક મહાન પગલું સાબિત થશે.