કાનજી પટેલ
ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનૂદિત થયું છે. ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. બચપણમાં વડવાઓ પાસેથી સાંભળેલી ગ્રામીણ આદિવાસી લોકવાયકા અને વન્યજીવનની કથાઓ કવિ શ્રી કાનજીભાઈ પટેલના કાવ્યનું તત્ત્વ બને છે.
રાજદરબારમાંથી જાકારો પામેલા ગુણાઢ્યની વાર્તા જંગલનાં પશુ-પંખીઓ સાંભળે છે અને એમના કંઠે વહેતી થાય છે. અને છેવટે રાજા જ્યારે ગુણાઢ્યને તેડવા આવે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. વિચરતા લોકોની સમસ્યાઓ માટે કોણ બનશે વિષ્ટિકાર? કાળને કોરી ખાતો આ પ્રશ્ન આજે પણ એટલો જ વેધક છે, જેનાં સંદર્ભનું એક કરુણ કાવ્ય આ સંગ્રહમાં છે. માણસના અસ્તિત્વ જેટલું જ જૂનું એનું દુઃખ છે. આ સત્યને એક ચોટદાર કાવ્યમાં કવિએ રજૂ કર્યું છે. તો અન્ય એક કાવ્યમાં જગતના તાતની આકાશને કરવામાં આવેલી અરજ માણવા જેવી છે.
કવિએ ‘અમને ના ભૂલતા’ શીર્ષક હેઠળ આઠ કાવ્યોની શૃંખલા આપી છે, જેમાં વડવાઓ દ્વારા પોતાના કુળ અને વંશજોને કરવામાં આવેલી વાતોને ગૂંથી સુંદર કાવ્યો મળ્યાં છે. જ્યારે વધતા જતા શહેરીકરણની અસર પ્રકૃતિ પર કેટલી ઘાતક નીવડે છે તેનો ચિતાર રૂંવાડાં ઊભાં કરી નાખે તેવો છે. મૂળ, માટી અને માનવીની વાત લઈને આવતાં આ કાવ્યોમાં સરળ સહજ ભાષા છતાં ગૂઢ પ્રતીકો ક્યાંક કાવ્યોને સંકુલ બનાવે છે તો ક્યાંક આસ્વાદ્ય.