યજ્ઞેશ દવે
ઇતિહાસના ગર્ભમાં કંઈક કેટલીયે ઘટનાઓની તવારીખ સચવાયેલી છે જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો. યુદ્ધની આડમાં થયેલા એવા નરસંહાર જેમાં નિર્દોષ અને સામાન્ય નાગરિકો અસહ્ય યાતનાઓ વેઠી દર્દનાક મોતને ભેટ્યા. બીજા વિશ્વયુદ્ધ પહેલા 1915માં તુર્કો દ્વારા આર્મીનીયનોનો કરાયેલ ક્રૂર સામૂહિક માનવ વધ. જાપાની સૈનિકો દ્વારા ચીનના નાનકિંગ શહેરમાં ખેલાયેલી રક્તરંજિત હોળી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી જર્મનોનો દ્વારા યહૂદીઓ પર થયેલા અત્યાચાર અને સામૂહિક હિંસા. સાથે વિયેતનામ, કંબોડિયા અને રવાન્ડા જેવા પ્રદેશોમાં આંતરવિગ્રહના પરિણામે થયેલ દમન અને અત્યાચારો. આ પુસ્તકમાં આ વિશેના લેખો તેમ જ અમેરિકામાં ગુલામશાહી દરમિયાન લોકો પર થયેલા દમનનું ચિત્ર પણ રજૂ કરાયું છે. બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા દ્વારા જાપાન પર થયેલ પરમાણુ હુમલો. આ અમાનવીય કૃત્ય થકી મોતને ઘાટ ઉતરેલા લોકોની પીડાને શબ્દદેહ મળ્યો આ પુસ્તકમાં.
યુદ્ધના વરવા અને ઉજળાં પાસાં દર્શાવતી કેટલીક ફિલ્મોનો પણ પરિચય સામેલ છે. ક્યાંક સત્તાના નામે તો ક્યાંક ધર્મ અને સંસ્કૃતિના નામે આચરાયેલ આ ક્રુર અને અમાનવીય ઘટનાઓએ માનવ ઇતિહાસને કેવી રીતે બદલ્યો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેવી રીતે અસર પહોંચાડી તેનો આબેહૂબ ચિતાર તથા વિશ્વભરમાં થયેલ કાળજું કંપાવનાર નરસંહારોની સિલસિલાવાર તવારીખ હકીકતમાં તો પરાઈ પીડાને પોતીકી બનાવે છે.