ઝેન બુદ્ધિઝમમાં રોશીનો અર્થ ગુરુ થાય. એક એવા શિક્ષક જે પીઢ અને આદરણીય હોય. રોશી એટલે એક એવા માર્ગદર્શક જે પોતાની વિદ્વત્તા અને સમજણથી શિષ્યને આત્મજ્ઞાન સુધી લઈ જાય. એવી જ કોઈ યાત્રા દર્શાવતી આ કથા ખોટથી ખુમારી સુધીની છે. નિષ્ફળતાથી નિરાંત સુધીની છે. ટૂંકમાં કહું, તો આ કથા ‘the art of letting go’ વિશેની છે. એ જૂનો પ્રેમ હોય કે ઓળખ, સપનું હોય કે સાથ, પકડી રાખવું ક્યારેક પીડાદાયક હોય છે. એને સમયસર મુક્ત કરી દેવું, એ જ આપણી મુક્તિનો એક માત્ર માર્ગ હોય છે. આ કથા જૂની ઓળખ ભૂંસીને એક નવી ઓળખનું નિર્માણ કરવાની છે. સામાજિક અપેક્ષાઓ અને વ્યક્તિગત સપનાંથી થોડે દૂર એક બાંધકામનું સ્થળ આવેલું હોય છે. એક એવી જગ્યા જ્યાં નવેસરથી જાતનું ચણતર કરી શકાય. એક એવી સ્પેસ જ્યાં પહોંચ્યા પછી ‘Why me?’ પૂછવાને બદલે ‘Now what?’ પૂછવાનું મન થાય. કેટલીક એકલતા સગર્ભા હોય છે. તે અનેક એવા પ્રશ્નોને જન્મ આપે છે જે ઉદ્વેગને બદલે ઉદ્ધાર કરે છે.