શિરીષ પંચાલ
માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલાં પાત્રોની મનોદશાને વિવિધ વાર્તાઓમાં અભિવ્યક્ત કરે છે શિરીષ પંચાલ.
• પોતાના ઘરેથી આંટો મારવા નીકળેલા દિનેશ પરીખ અચાનક કોઈ અજાણી વ્યક્તિના ખૂનના આરોપમાં ગિરફતાર થઈ જાય છે અને પત્ની અને પરિવારથી દૂર કોઈ નવા શહેરમાં પહોંચી જાય છે જ્યાં તેમને પોતાની ઓળખ ખોયાનો કારમો અનુભવ થાય છે.
• ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં કામ કરતો સુકેતુ દેસાઈ એવા કાર-અકસ્માતના કેસમાં ફસાય છે જે તેનાથી થયો જ નથી. પોલીસ અને ફરિયાદીના ચક્રવ્યૂહમાં ફસાતો જતો સુકેતુ છેવટે કોઈ મહિલા પોલીસમિત્રની મદદથી પોતાનું જીવન પાછુ મેળવે છે.
• જંગલમાં શિકાર કરી ગુજરાન ચલાવતો માંસાહારી મગનો ભયાનક પૂરમાં સપડાય છે અને ત્રણ દિવસ ભૂખનો સામનો કરે છે. અચાનક તેના હાથ લાગે છે પૂરમાં તણાઈ આવેલી એક ગર્ભવતી મહિલા અને ઘાયલ હરણનું બચ્ચું, જે તેનું જીવન બદલી નાખે છે.
• પુત્રમોહમાં અંધ બનેલા હસ્તિનાપુરના સ્વામી ધૃતરાષ્ટ્રને પોતાનું અંધત્વ લઈ જાય છે અનેક પ્રશ્નોના અંધકારમાં, જ્યાં પુત્રી દુશલા તેની વ્યથાને સાંભળે છે અને તટસ્થ બની તેના પ્રશ્નોનું સમાધાન કરવા વાર્તાલાપ માંડે છે.
પરિસ્થિતિના અંધકારમાં સપડાયેલાં આ પાત્રોને શું અજવાળું મળશે? આવો પ્રશ્ન લઈને આવતી દરેક વાર્તા વાચકને આખી વાર્તા એકીબેઠકે વાંચવા વિવશ કરે છે. સાથે સ્થળ, કાળ અને પરિસ્થિતિનું રચનાત્મક નિરૂપણ વાચકને પાત્રો અને ઘટનાના તાદૃશ સાક્ષી બનાવે છે. અલાયદી ૨૧ વાર્તાઓનો તરોતાજા સંગ્રહ - શિરીષ પંચાલ લિખિત ‘તમસલોકનો યાત્રી’.