શૈલેશ પારેખ
રવીન્દ્રનાથ ટાગોર એક અદ્વિતીય સર્જક અને વિચારક હોવાની સાથે વિજ્ઞાનમાં પણ રસ ધરાવતા હતા. તો બીજી તરફ જગતને થિયરી ઑફ રિલેટિવિટીની ભેટ આપનાર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન સંગીતમાં ઊંડી સમજ ધરાવતા હોવાની સાથે તેમને માનવતાને સ્પર્શતા દરેક પ્રશ્ન સાથે નિસબત હતી. કળા અને વિજ્ઞાનના બે ભિન્ન છેડે વિચરતી આ બે મહાન વિભૂતિઓ પરસ્પરના સંપર્કમાં આવી અને તેમની વચ્ચે થયેલો વાર્તાલાપ જગતના બૌદ્ધિકો, ફિલોસૉફરો અને વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય બની ગયો. 1930માં આઇન્સ્ટાઇન અને રવીન્દ્રનાથ વચ્ચે થયેલી બે મુલાકાતો અને વાતોનો નિષ્કર્ષ એટલે આ પુસ્તક. વાસ્તવિકતા અને તેનું સ્વરૂપ, કાર્યકારણનો સિદ્ધાંત, સંગીત જેવા વિષયો પર આ બંને વચ્ચે થયેલી ચર્ચાના સંદર્ભોને આવરી લઈ બંગાળના ભૌતિકશાસ્ત્રી, લેખક અને સંગીતજ્ઞ શ્રી પાર્થ ઘોષ તેની છણાવટ કરતું પુસ્તક ‘ધ પોએટ ઍન્ડ ધ સાયન્ટિસ્ટ’ પ્રગટ કરે છે. રવીન્દ્ર સાહિત્યના અનુરાગી તરીકે શૈલેશભાઈ પારેખ તેનો ગુજરાતી અનુવાદ કરી આ બંને વિભૂતિઓ વચ્ચે થયેલા વાર્તાલાપનાં તથ્યોને ગુજરાતી વાચકો માટે સુલભ બનાવે છે. વિજ્ઞાન અને કળા પર આ બંને વિભૂતિઓના વિચારો આજ દિન સુધી વિજ્ઞાનીઓ અને કળાપ્રેમીઓ માટે કુતૂહલનો વિષય રહ્યા છે. તેમ જ પુસ્તકમાં બંને વચ્ચે થયેલા પત્રવ્યવહારની સાથે ટાગોર દ્વારા પ્રગટ કરાયેલી આઇન્સ્ટાઇનની યાદો સમાવિષ્ટ છે, જેમાં યહૂદીરાષ્ટ્રની સ્થાપના, ચેતના અને મુક્તિ જેવી બાબતોમાં બંનેનાં મંતવ્યો પ્રકાશમાન થયાં છે. પૂરક માહિતી અને યથાયોગ્ય સંદર્ભો અને વિસ્તૃત વિશ્લેષણ સાથે રજૂ કરાયેલી આ બંને વિભૂતિઓની મુલાકાત અને પરિચય દ્વારા બંનેનો જીવન અને જગત વિશેનો દૃષ્ટિકોણ યોગ્ય રીતે સમજી શકાય છે. કળા અને વિજ્ઞાનને એક બિંદુ પર લાવી તેની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતું આ પુસ્તક રવીન્દ્રનાથના વાચકો, વૈજ્ઞાનિકો, વિચારકો અને કળાપ્રેમીઓને જરૂર આકર્ષશે.