શૈલેશ પારેખ
કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યે માત્ર બંગાળી વાચકોને જ નહીં, પરંતુ અન્ય ભાષાના વાચકોને પણ આકર્ષ્યા છે. તેમાંથી ઘણાએ તેમના સાહિત્યને પોતાના અભ્યાસનો વિષય બનાવ્યો છે. અબુ સયીદ અય્યૂબ એક પ્રખર બૌદ્ધિક, વિચારક રવીન્દ્રનાથના કિશોરવયનાં લખાણોથી માંડીને ‘બલાકા’ સુધીના સર્જનને સમાવી લઈ એક અંગ્રેજી પુસ્તક આપે છે ‘ટાગોર્સ ક્વેસ્ટ’. સમગ્ર વિશ્વના માનવીઓને ધ્રુજાવી મૂકનાર પ્રથમ વિશ્વયુદ્ધે રવીન્દ્રનાથ ટાગોરના સંવેદનશીલ અને ભાવુક મન પર પણ ઘેરી અસર કરી. પરિણામે ધર્મ અને ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ડગમગી ઊઠી. ત્યાર બાદ કવિવર ઈશ્વર અને જીવનના પ્રેરણાસ્રોતની શોધ પર નીકળે છે. ટાગોરની આ શોધ તેમના સાહિત્યસર્જનમાં પણ વર્તાય છે. અબુ સયીદ અય્યૂબે એક વિચક્ષણ વિવેચકની ખુમારીથી નિજાનંદે કરેલાં આ સર્જનોનું અર્થઘટન રવીન્દ્ર સાહિત્યના પ્રખર અભ્યાસુ શૈલેશ પારેખને સ્પર્શે છે અને તેઓ તેનો ગુજરાતી અનુવાદ કરે છે.
આ પુસ્તકમાં લેખક રવીન્દ્રનાથના અંગ્રેજીમાં અનૂદિત પુસ્તકો, કાવ્યો અને અન્ય સાહિત્યપ્રકારોનો ગુજરાતીમાં અનુવાદ તેના અર્થઘટન સાથે મૂકવામાં આવ્યો છે. રવીન્દ્ર અનુરાગી તેમ જ સુજ્ઞ વાચકોને રવીન્દ્ર સાહિત્યને માણવાની એક નવી અને અલગ દૃષ્ટિ ખોલી આપે છે.