સુમન શાહ
મધ્યકાલીન યુગથી માંડીને વર્તમાન સમય સુધીના કવિઓમાંથી સાત મહત્ત્વના કવિઓની કાવ્યસૃષ્ટિનો સમીક્ષાત્મક ગુણાનુવાદ આ ગ્રન્થના માધ્યમથી પ્રસ્તુત છે.
કવિ દયારામની કાવ્યસૃષ્ટિની સમીક્ષામાં ભક્તિ ભાવ રજૂ કરતી રચનાઓ તેમજ પદો, ગરબા-ગરબીઓ વગેરે સમગ્ર રસસૃષ્ટિના ગુણવિશેષની રજૂઆત થઈ છે, જેમાં દયારામના કૃષ્ણભક્તિમાં લીન પુષ્ટિમાર્ગીય વ્યક્તિત્વનો હૂબહૂ ચિતાર જોવા મળે છે.
હરિશ્ચન્દ્ર ભટ્ટનાં કાવ્યોના સંગ્રહ ‘સ્વપ્નપ્રયાણ’ની સુમન શાહે કરેલી સમીક્ષામાં પ્રણય, પ્રકૃતિ અને ચિંતનને પોતાના કાવ્યસર્જનનો વિષય બનાવનાર હરિશ્ચંદ્રના કવિકર્મના વિશેષો જોવા મળે છે.
ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીના તમામ કાવ્યસંગ્રહોના સંગ્રહ ‘સમગ્ર કવિતા'ની સમીક્ષામાં કવિના સર્જન અને દર્શનની સવીગત નિરૂપણા જોવા મળે છે. 'વિશ્વશાન્તિ' અને ‘જીવન સ્વીકાર’ના પક્ષકાર કવિ ઉમાશંકરની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય મળે છે.
રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’થી લઈને ‘હા, હું સાક્ષી છું’ સુધીના કાવ્યસંગ્રહોની સમીક્ષામાં તેમની આનંદ અને સૌંદર્યશોધક કવિ તરીકેની છબિ સ્પષ્ટ થઈ છે, સાથે તેમની વૈવિધ્યસભર ભાવસૃષ્ટિની ઝાંખી પણ થાય છે.
સુખ્યાત ચિત્રકાર અને અછાંદસ કાવ્યપ્રકારના અગ્રયાયી કવિ ગુલામમોહમ્મદ શેખના કાવ્યસંગ્રહ ‘અથવા અને’ની સમીક્ષામાં તેમની એક ચિત્રકાર-કવિ તરીકેની પ્રતિભાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
કમલ વોરાના બે કાવ્યસંગ્રહો ‘અનેકએક’ અને ‘વૃદ્ધશતક’ની સમીક્ષામાં તેમની નિજી અને નિરાળી કાવ્યસૃષ્ટિનો પરિચય મળે છે. ‘અનેકએક’ની સમીક્ષા માનવજીવનના વિરોધાભાસ અને અપવાદો રજૂ કરે છે, જ્યારે ‘વૃદ્ધશતક’ની સમીક્ષામાં વૃદ્ધોના દૃષ્ટાન્તે જીવનની વાસ્તવિકતાનો તાગ મેળવવાનો પ્રયાસ જોવા મળે છે.
વિનોદ જોશીના બે કાવ્યસંગ્રહો ‘તુણ્ડિલ તુણ્ડિકા’ અને ‘સૈરન્ધ્રી’ની સમીક્ષા દર્શાવે છે કે કવિ પદ્યવાર્તા કથાકાવ્ય તેમજ પ્રબન્ધકાવ્યની ભૂમિકાએ કેવા તો અનોખા સર્જક છે. તુણ્ડિ-તુણ્ડિકા અને સૈરન્ધ્રી જેવાં પાત્રો પાત્રો નથી લાગતાં પણ અનોખાં વ્યક્તિત્વો લાગે છે.
કાવ્યવસ્તુ, કાવ્યપ્રકાર, કાવ્યમાધ્યમ, કાવ્યબાની જેવાં પરિમાણોને આધારે કરવામાં આવેલી આ સમીક્ષાઓ દરેક કવિના સર્જનને પ્રમાણવાની સાથે માણવામાં પણ એટલી જ ઉપયોગી નીવડે છે; સાથે દરેક કવિની સર્જકતાના કેન્દ્રમાં વિકસેલી વાતોથી તેનો બહુઆયામી પરિચય પણ કેળવી શકાય છે. આ કવિઓનો તેમજ ગુજરાતી કાવ્યસૃષ્ટિના વિકાસનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે આ ગ્રન્થ અનેક રીતે ઉપયોગી સાબિત થશે.