સુમન શાહ
ઇચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓથી ઘેરાયેલો માણસ ક્ષણેક્ષણ જાત સાથે વાત કરતો હોય છે. પોતાના ઉમળકા, આશા-નિરાશા, આનંદ કે વિષાદને ક્યારેક પોતાની અંદર જ સંતાડી રાખતો હોય છે. આવી જ સ્વગત વાતો અને અકથ્ય ભાવોને સુમનભાઈ શાહે એફોરિઝમ્સનું રૂપ આપ્યું છે. જાતને સંબોધીને અપાયેલાં સલાહ, શિખામણ કે આદેશ તેની મૌલિકતા અને ઊંડાણને લીધે ગ્રાહ્ય બન્યાં છે, જેમાં ક્યાંક સરળ તત્ત્વજ્ઞાન તેમ જ કાવ્યત્વ પણ છલકે છે, તો વળી ક્યાંક તેમાં વાર્તાતત્વ પણ ઉમેરાયું છે. ૨૦થી ૨૨ શબ્દોના લઘુસ્વરૂપમાં લખાયેલાં આ એફોરિઝમ્સનો અર્થવિસ્તાર ઘણો વ્યાપક અને હૃદયસ્પર્શી નીવડે એવો છે.
સુમનભાઈએ પોતાના માટે પોતાને સંબોધીને લખેલાં આ એફોરિઝમ્સ તેની તરલતા અને સરળતાને કારણે વાચકને પણ પોતાનાં લાગશે.
કોઈ પણ પ્રકારના ભાર વગર કહેવાયેલી આ આત્મદર્શી વાતો માણવાલાયક છે.