કાજલ ઓઝા વૈદ્ય
ડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે. ડૉ. શ્યામા એ દર્દીને બચાવે છે... અને ત્યાંથી શરૂ થાય છે એક રહસ્ય, રોમાંચથી ભરપૂર અને હિંસક પ્રેમકથા. પ્રેમકથા અને પરીકથાનો અંત એક જેવો ન હોઈ શકે. આ પ્રેમકથા એક લોહિયાળ રાતથી શરૂ થાય છે, અને અંતે ત્યાં જ પૂરી થાય છે. આપણા સૌનું પ્રતિબિંબ જેમાં કોઈ મહોરા વગર ઝિલાય છે એવા આયનામાં સપડાઈ ગયેલાં, પોતાની જ લાગણીઓમાં અટવાતાં, મૂંઝાતાં અને આયનાની જનમટીપમાંથી છૂટવા તરફડતાં પાત્રોની આ કથા છે. એક ગૅન્ગસ્ટર, એક ડૉક્ટર અને એની આસપાસ ગૂંથાતી ફિલ્મ, રાજનીતિ અને અંડરવર્લ્ડનાં પાત્રોની એક જાળ સૌને કેદ કરી લે છે. એ કેદમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, મોત! પોતાની લાગણીઓ, પોતાનાં જ વેર, વલોપાત અને વહાલના આયનામાં આ સૌને મળી છે જનમટીપ... આ કથા છે આયનામાં જનમટીપની.