કાજલ ઓઝા વૈદ્ય
આપણે જેને વર્ષોથી મૃત્યુ પામેલી માનતા હોઈએ એવી કોઈ અંગત વ્યક્તિ જીવંત છે એવી ખબર પડે તો?
જેને આપણે પળપળ યાદ કરીને જિંદગીના વર્ષો વિતાવ્યાં હોય, ક્ષણેક્ષણે જેની સ્મૃતિથી આપણી આંખો ભીંજાઈ હોય, જેની હાર પહેરાવેલી તસવીર આપણા ઘરમાં સતત જોઈ હોય એવી કોઈ વ્યક્તિ અચાનક આપણી સામે આવીને ઊભી રહી જાય તો?
જે નથી એમ માનીને મન મનાવ્યું હતું, એ વ્યક્તિ હયાત છે, છતાં એની હયાતિને નકારવામાં આવી છે... એ જીવંત છે એ વાત છુપાવવામાં આવી છે અને એ છુપાવનાર બીજું કોઈ નહીં, પણ આપણી પ્રિય વ્યક્તિ હોય, તો?
એક એવી કથા, જેનો પાયો જુઠ અને છલથી રક્તરંજિત છે... તેમ છતાં એ કથામાં પ્રેમ છે, સમર્પણ છે, ત્યાગ અને બલિદાન છે!
એક પુત્રીની મા સુધી પહોંચવાની જહેમત અને એક સ્ત્રીની પોતાના પરિવારની પ્રતિષ્ઠાને અકબંધ રાખવાની પ્રતિજ્ઞા વચ્ચેનો સંઘર્ષ છે, આ કથામાં.
લાગણીના તાણાવાણાને ગૂંથતી અને ગૂંચવતી સંવેદનશીલ છતાં પાને પાને રોમાંચ અને કુતૂહલ જગાડતી ઈમોશનલ થ્રીલર એટલે ‘રક્ત-વિરક્ત’!