મૃગેશ વૈષ્ણવ (ડૉ.)
આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિ દ્વારા અનુભવાતી હતાશાની સામાન્ય લાગણી અને ડીપ્રેશન મનોરોગ વચ્ચેની ભેદરેખા સમજાવે છે. તમારા આંતર મનની વેદના શારીરિક રોગનાં લક્ષણો રૂપે વ્યક્ત થતી હોય ત્યારે તમારા ડિપ્રેશનને કેવી રીતે ઓળખવું એની વિસ્તૃત સમજ આપવાની સાથે સાથે હતાશા ભલે વિશ્વવ્યાપી હોય પણ તે સંપૂર્ણપણે મટાડી શકાય છે. એ સત્ય આ પુસ્તકમાં પ્રસ્થાપિત કરાયુ છે. તમારા આંતર મનમાં વધતી જતી હતાશાની લાગણી કેવાં ભયાનક પરિણામો લાવી શકે છે તેની ઉદાહરણો સાથે ચર્ચા કરી તમારું ડિપ્રેશન, તમારા કાયમી સ્વભાવ, વ્યક્તિત્વ કે મનોરોગનું સ્વરૂપ ધારણ ન કરે એ માટે તમારી જાત સાથે વાત કરવાની જુદી જુદી પધ્ધતિઓની ચર્ચા મનો વિશ્લેષણાત્મક પરિપ્રેક્ષ્યમાં આ પુસ્તકમાં કરાઈ છે. તમે આત્મધિક્કાર, આત્મનિંદા કે તિરસ્કૃત થયાની લાગણીથી ડિપ્રેશન અનુભવતા હો, તમારી જાતની દયાજનક પરિસ્થિતિની અનુભૂતિ થવાને કારણે તમે ડિપ્રેશનના શિકાર બન્યા હો, કે બીજાઓ પ્રત્યેની વધારે પડતી દયાભાવના તમારા ડિપ્રેશનનું કારણ હોય ત્યારે જુદી જુદી પરિસ્થિતિમાં ડિપ્રેશનનો સામનો કરવા માટે જાત સાથે વાત કરવાની કળા શીખવી જરૂરી છે. આ પુસ્તકનો મૂળભૂત ઉદ્દેશ્ય એ જ છે કે ડિપ્રેશન નેસ્ત નાબૂદ કરવા માટે ચાલો આપણે જાત સાથે વાત કરતાં શીખીએ.