સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
બંગાળમાં વહેતી નદીઓ તેની જમીનને ફળદ્રુપ બનાવે છે અને આ નદીઓના કિનારે આશ્રમ સ્થાપીને વસતા બાઉલ તેમની પાસે આવતા માણસોને આધ્યાત્મિક રીતે ફળદ્રુપ કરે છે. ખભે ઝોળી અને હાથમાં એકતારો લઈ અપરિગ્રહ વ્રતનું પાલન કરતા બાઉલો પાસે જો પોતાનું કંઈ છે તો એ છે એમનાં ભક્તિગીતો અને બોધકથાઓ. બંગાળમાં ગામેગામ અને ઘાટેઘાટ ફરી અનેક બાઉલ આશ્રમોની મુલાકાત લઈ બાઉલ ગુરુઓ પાસેથી સાંભળેલી અનેક કથાઓ આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચાડે છે સતીશચંદ્ર વ્યાસ.
સ્વભાવે સરળ છતાં અકળ એવા બાઉલોની કથાઓ તેમની દિનચર્યા અને રહેણીકરણીમાંથી જન્મે છે. ગુરુના મુખે કહેવાયેલી અને શિષ્યને બોધ આપતી આ કથાઓમાં ક્યાંક ધર્મશાસ્ત્રોનો સાર જોવા મળે છે તો ક્યાંક જીવનનું સત્ય ઉજાગર થતું જણાય છે. સાવ સામાન્ય જણાતી વાત કે પ્રસંગમાંથી આકાર પામતી આ બોધકથાઓમાં ભારોભાર અધ્યાત્મબોધ રહેલો છે. એક ભાવક તરીકે જો સજ્જ ના રહીએ તો કદાચ તેનો મર્મ ચૂકી પણ જવાય.
ધીમા અવાજે કહેવાયેલી આ કથાઓએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને પણ પ્રભાવિત કર્યા હતા. દરેક મનેર માનુષમાં ઈશ્વરના પરમતત્ત્વને જોઈ તેનો સ્વીકાર કરનાર બાઉલોની જીવનશૈલી ભલે ફકીર જેવી અસ્તવ્યસ્ત લાગે, પરંતુ તેમની મનમોજી મસ્તી અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સામાન્ય મનુષ્ય કરતાં અલાયદો અને મર્મસભર હોય છે, જે આ કથાઓમાં જાણવા મળે છે.
સતીશચંદ્ર વ્યાસ દ્વારા એકત્ર કરાયેલી આ કથાઓમાં બાઉલ પરંપરાના પડઘા તો સંભળાય જ છે, સાથે તેમનાં ગીતોની આછેરી ઝલક કથાઓને વધુ પ્રસ્તુત બનાવે છે.
મનુષ્ય અને પરમતત્વના એકાત્મની વાત કરતી આ કથાઓ બાઉલ પરંપરાનો પરિચય કરાવી તેમના આધ્યાત્મિક ઊંડાણમાં ડૂબકી મારવાની તક આપે છે.