સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પોતાના આઠ દાયકાના આયુષ્યકાળ દરમિયાન જીવનનો ચોથો દાયકો કલકત્તાથી દૂર સિલાઈદાહમાં વિતાવ્યો. અહીં તેઓ બંગાળના ગ્રામ્યજીવનથી પરિચિત થયા. નાવિક, મછવારા, ડોળી ઉપાડનારા કહાર અને વિવિધ બાઉલના સંપર્કમાં આવ્યા, જેમાંના એક હતા ગગન બાઉલ. તેઓ બાઉલ જીવનશૈલીના રંગે રંગાયા અને તેમના જીવનને એક નવી દિશા મળી. સિલાઈદાહના આ વસવાટ દરમિયાન તેમણે જાણેલી, માણેલી અને પિછાણેલી બંગ ગ્રામ્યસંસ્કૃતિ અને બાઉલ પરંપરાના પડઘા તેમના સર્જનમાં પડવા લાગ્યા અને તેઓ ઠાકુરસાહેબમાંથી ગુરુદેવમાં રૂપાંતરિત થયા. આ જ દાયકાએ તેમને પોતાની ભીતર રહેલા ‘મનેર માનુષ’ના પારખુ બનાવી જગતને વિશ્વકવિની ભેટ આપી. પરંતુ તેમના જીવનના આ અગત્યના દાયકા વિશે ખૂબ ઓછું લખાયું છે. રવીન્દ્રસાહિત્યના મરમી અને અભ્યાસુ લેખક સતીશચંદ્ર વ્યાસ કવિવરના જીવનના આ અજાણ છતાં મહત્ત્વના દાયકાની જરૂરી વિગતો મેળવવા બંગાળ અને પદ્મા નદીના કિનારે આવેલા બાઉલપ્રદેશનો પ્રવાસ ખેડે છે. ગગન પરંપરાની છઠ્ઠી પેઢીના વંશજ અને શિષ્ય નીરવ ડોમ અને આજાન સરકારને રૂબરૂ મળી તેમના સ્વમુખે ઠાકુરસાહેબ અને ગગનની વાતોની કડીઓ મેળવી તેનો સાર પ્રાપ્ત કરે છે. અને ટાગોરના જીવનનું આ સૌથી રસપ્રદ અને રમણીય પ્રકરણ આપણી સમક્ષ મૂકી આપે છે.
ટાગોરના જીવનના અંત સુધી તેમના ગદ્ય-પદ્ય સર્જનમાં ઉપલબ્ધ બાઉલત્વ વિચાર અને મસ્તીનો વિનિયોગ દર્શાવતું આ પુસ્તક વાચકોને તેમની સર્જનપ્રક્રિયાના વિશેષ પાસાથી માહિતગાર કરી તેમની સર્જકપ્રતિભાનાં દર્શન કરાવશે.