હસમુખ કે. રાવલ
કહેવાય છે કે સમાજનો આયનો એટલે વાર્તા. પરંતુ હસમુખભાઈ રાવલની વાર્તાઓમાં સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રસંગોની સાથે મનુષ્યના અંતરમનમાં ચાલતા ભાવવિશ્વનું પ્રતિબિંબ ઝિલાતું જોવા મળે છે.
એક ગામથી બીજે ગામ ખરખરો કરવા નીકળેલી મહિલાઓની ટોળકીને સફર દરમિયાન મળેલી સ્વતંત્રતા. રજાઓ આવતાં શહેરમાંથી દેશમાં જવા નીકળેલો ડુંગરપુરિયો શ્રમજીવી અને તેનો પ્રેમ. બળાત્કારનો ભોગ બનેલી દીકરીની માની પીડા. ગુજરાતી માના પેટે જન્મેલી ફૉરેનર દોહિત્રીનું નાની સાથે થયેલું અપૂર્વ મિલન. શહેરમાં ભણી ગામડામાં શિક્ષકની નોકરી કરી રહેલા યુવકનું હૃદયપરિવર્તન.
હસમુખભાઈની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે. પાત્રો અને પ્રસંગોનું ઉદ્ગમસ્થાન અને તેમની ભાષા યથાયોગ્ય વાતાવરણ ઊભું કરી દરેક વાર્તાને વધુ બળકટ બનાવે છે. અલગ પરિપ્રેક્ષ્યમાં થતી વાર્તાની માંડણી એક રસપ્રદ પોત રચી વાચકની જિજ્ઞાસા વધારતી જાય છે અને અંતે હળવેથી ખૂલતું વિષયવસ્તુ વાચકને ક્યાંક ચોટ આપી તો ક્યાંક આશ્ચર્યમાં ગરકાવ કરી અભિભૂત કરી મૂકે છે. સમાજમાં પ્રવર્તેલા કુરિવાજો, જાતીય શોષણ જેવાં દૂષણો, પેટિયું રળવા માટે કરવી પડતી દડમજલ, કોમી રમખાણોની વિભીષિકા જેવી અનેક વાસ્તવિકતાઓને રચનાત્મક રીતે વાર્તાઓમાં વણી લઈ લેખકે અનોખી વાર્તાશૈલીનો પરિચય આપ્યો છે.
પ્રેમ, પીડા, એકલતા, લાલચ, વિયોગ, ડર જેવા વિવિધ માનવીય ભાવોને કેન્દ્રમાં રાખીને કહેવામાં આવેલી વાર્તાઓ પાત્રની મનોસ્થિતિને આબાદ ઝીલે છે. સમાજના વિવિધ સ્તરે જિવાતી જિંદગીઓના આંતર-બાહ્ય જગતમાં ડોકિયું કરાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.