હસમુખ કે. રાવલ
બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ શારીરિક વિકાસની સાથે તેનું મનોવિશ્વ પણ વિસ્તરતું જાય છે. તે અનેક નવાં સંવેદનો, લાગણીઓ અને ભાવનાઓથી પરિચિત થતું હોય છે. પતંગિયાની પાંખસમા અનેક રંગો તેના અંતરમાં ઝિલાય છે. તેનું કુતૂહલવિશ્વ પણ અનોખું હોય છે, જે દરેક પળે કશુંક નવું જાણવા, માણવા, પ્રમાણવા અને પામવા મથતું હોય છે. આ જ વિશ્વમાં લટાર મારીને હસમુખભાઈ લાવ્યા છે ઊગતી ઉંમરના ભાવો પ્રગટ કરતી ચોટદાર છતાં સંવેદનશીલ વાર્તાઓ.
અલગ-અલગ સ્થળ અને પરિવેશમાં ઊછરતાં બાળકોના ભીતરી વિશ્વનું પ્રતિબિંબ ઝીલતી આ વાર્તાઓ અભિવ્યક્તિમાં નાવીન્ય ધરાવે છે. ક્યાંક કોઈ વાર્તામાં કાલ્પનિક દૃશ્યો મૂકીને તો વળી કોઈ વાર્તાનું કથન જુદાં-જુદાં પાત્રો દ્વારા કરાવીને હસમુખભાઈએ આગવી શૈલીનો પરિચય આપ્યો છે. દરેક વાર્તાનું પોત મૌલિક અને તાજું હોવાની સાથે સંવાદની ભાષામાંથી ટપકતી બોલીઓની અસલ લઢણ ભાષાનું અનોખું વાતાવરણ ઊભું કરી દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ક્યાંક સપનાંની જાદુનગરી તો ક્યાંક વરવી વાસ્તવિકતા, ક્યાંક મૂક જંતુઓ અને પશુઓ સાથેની મિત્રતા તો ક્યાંક પોતીકા સંબંધોમાંથી મળતી પીડા, ક્યાંક વહાલની અતિવૃષ્ટિ તો ક્યાંક પ્રેમ અને દરકારનો અભાવ તો વળી ક્યાંક નાત-જાતના ભેદભાવ, ભૂકંપ અને રમખાણો જેવી વિષમ પરિસ્થિતિઓની બાળકો પર પડતી અસર.
બાળમાનસને સ્પર્શતી નાનામાં નાની લાગણીને આ વાર્તાઓમાં વણી લઈ તેમના ભાવનાત્મક વિશ્વને સમજવા માટે લેખકે આડકતરો અંગુલિનિર્દેશ કર્યો છે. કલ્પનાઓ, સંવેદનાઓ, બાળહઠ, લાગણીઓ, કુતૂહલ અને વિસ્મય જેવા અનેક રંગોને પોતાની પાંખોમાં સમાવી લેતી આ વાર્તાઓ વાચકને બાળકોના અંતરમાં રહેલા તિતલીલૅન્ડમાં જરૂર લઈ જશે.