ગુલઝાર સાહેબ
શ્વેત વસ્ત્રો, જાડાં ચશ્માં અને ઘેઘૂર અવાજે બોલાતા શબ્દો... આ વર્ણન સાંભળતાં જ આપણી સામે તાદૃશ થાય છે ગુલઝારસાહેબ. અને રણકવા લાગે એમના એકાદ યાદગાર ગીતની ધૂન. જેમની ફિલ્મો અને વાર્તાઓએ પણ આપણા પર અનેરો જાદુ પાથર્યો છે એવા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુલઝારસાહેબના જીવનનું અનોખું પાસું એટલે એમનો ગાલિબપ્રેમ. પોતાના નોખા અંદાજેબયાનથી ઉર્દૂ-ફારસી ગઝલોના આકાશમાં સૂર્યસમાન ઝળહળતા મિર્ઝા ગાલિબની ગઝલો સર્વકાલીન અને સનાતન છે અને એ સદીના મહાન શાયર મિર્ઝા ગાલિબ વિશે આ સદીના મહાન શાયર ગુલઝારસાહેબ લખે ત્યારે એક અનન્ય ઘટના બની જાય છે.
ઝેન ઓપસની વિશિષ્ટ પ્રસ્તુતિ. ગુલઝારસાહેબ લિખિત હિન્દી પુસ્તક ‘મિર્ઝા ગાલિબ – એક સ્વાનહી મંઝરનામા’નો રઈશભાઈ મનીઆર દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘મિર્ઝા ગાલિબ – એક વીતક એક કથાનક’.
ગાલિબના જીવન પર લખાયેલા પુસ્તકમાંથી પસાર થતી વખતે ગુલઝારસાહેબને ગાલિબ સાથે એક અજીબોગરીબ આકર્ષણ અને આત્મીયતા અનુભવાય છે અને તેમની જિંદગી પર એક ટેલિવિઝન ધારાવાહિકનું નિર્માણ કરવા પ્રેરાય છે અને સર્જાય છે વર્ષ ૧૯૮૮માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી લોકપ્રિય હિન્દી ધારાવાહિક ‘મિર્ઝા ગાલિબ’. મિર્ઝા ગાલિબના જીવનકવનના અણમોલ દસ્તાવેજસમી આ શ્રેણીની પટકથા વર્ષ ૨૦૦૫માં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થાય છે.