ધીરુબહેન પટેલ
ખેડા જિલ્લાના નરસિંહપુરા ગામમાં આવેલું ત્રિભુવનભવન એક વૈભવી ભૂતકાળની સાક્ષી પૂરતું ઊભું છે. મોટા ઓરડા, અસલ કોતરણીવાળું રાચરચીલું, વાડી અને બગીચાવાળું આ ભવન ત્રણ-ત્રણ પેઢીની યાદોને પોતાનામાં સમાવી આજે ખખડધજ હાલતમાં ઊભું છે. પરંતુ એમાં રહેતી વેણુ અને એનાં કાકા-કાકી માટે તો ત્રિભુવનભવન સ્વર્ગ છે. પોતાની સાદગી અને સૌંદર્ય થકી વેણુ દરેકના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે, પછી એ ટપાલી, ઘરના નોકરો, ભાઈઓ કે તેમના મિત્રો જ કેમ ના હોય! માતાપિતાના અવસાન પછી વેણુ માટે એનાં કાકા-કાકી જ સર્વસ્વ છે. શહેરમાં પોતાના કામધંધામાં વ્યસ્ત ભાઈઓને ના તો ત્રિભુવનભુવનની સારસંભાળમાં રસ છે કે ના પરિવારની જવાબદારી નિભાવવામાં. પૈસેટકે ઘસાયેલા આ કુટુંબમાં ત્રિભુવનભુવનના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થાય છે, પરતું ભાઈઓને તો તેને વેચીને પોતાનો ભાગ મેળવી લેવામાં રસ છે.
અહીં સુધી સરળ રીતે ચાલતી આ રસપ્રદ કથા વળાંકો લે છે.
પ્રેમાળ કાકા-કાકીનો અચાનક સ્વર્ગવાસ થાય છે. ભાઈઓ ત્રિભુવનભુવન વેચી નાખવાનો નિર્ણય લે છે. આવો વિષમ ઘટનાક્રમ અને અણધાર્યા સંજોગો વેણુના જીવનને રગદોળી નાખે છે.
હવે વેણુ શું નિર્ણય લે છે? આગળ સંજોગો કેવા બદલાય છે? એ જાણવા ધીરુબહેનની આ અનોખી નવલકથા વાંચવી જ રહી.