ધીરુબહેન પટેલ
ચરોતરના ગામમાં વસતો એક હસતો-રમતો ખેડૂત પરિવાર. ઢળતી ઉંમરે પિતાની નિવૃત્તિ બાદ જ્યેષ્ઠ પુત્ર ખેતર અને ઘરની જવાબદારીઓ ઉપાડી લઈ પિતાનો આજ્ઞાંકિત પુત્ર બને છે. તેની પારિવારિક નિષ્ઠા, સમર્પણ અને સત્યપરાયણતાથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ આખુંય ગામ તેને સન્માનથી જુએ છે. એવામાં પિતા જીવલેણ અકસ્માતનો ભોગ બની પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ મૃત્યુ વેળા પોતાના પુત્રને એવી વાત કહેતા જાય છે જે તેનું સમગ્ર જીવન બદલી નાખે છે.
પિતા દ્વારા પુત્રના મનમાં વવાયેલું એક સંશયબીજ ધીમે ધીમે પોતાની શાખાઓ ફેલાવે છે જે પુત્રને તેના અસ્તિત્વ પર અનેક સવાલો અને શંકાઓ કરવા મજબૂર કરી મૂકે છે. એક તરફ પોતાનું સર્વસ્વ ખોવાઈ જવાની ભાવના અને બીજી તરફ એ જ પિતાએ આપેલી નાનાં ભાઈબહેન અને ઘરડી માતાની જવાબદારીનો બોજ. આ બંને પરિસ્થિતિઓ વચ્ચે સંઘર્ષ કરતો યુવાન અંતે પોતાની મૂળ ઓળખ પ્રાપ્ત કરી શકશે?
વાચકને દરેક પ્રકરણે આ જ સવાલનો જવાબ મેળવવા ઉત્સુક કરતી ધીરુબહેનની આ નવલકથા અનેક ઉતાર-ચડાવ સાથે કૌતુક જગાવતી જાય છે. નવલકથામાં ઊભી કરાયેલી ગ્રામ્ય પરિવેશની ઝલક અને તળપદી ભાષા તેમ જ ગામતળનાં પાત્રોની સાદગી અને સુવાસ નવલકથાને અનોખું પોત બક્ષે છે. પાત્રો વચ્ચેના આંતર-સંબંધોથી રચાતાં ભાવનાત્મક સમીકરણો અને તેમાં આવતાં પરિવર્તનો વાચકની રસરુચિને જાળવી રાખે છે. તૂટતાં જતાં ગામડાં અને વધતા જતા શહેરીકરણ વચ્ચે ગ્રામ્ય પરિવેશમાં રચાયેલી આ નવલકથા આજના વાચકવર્ગને સમૃદ્ધ ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવશે. માનવીય સંબંધો અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતી આ નવલકથા દરેકને સ્પર્શી જશે.