કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
વિવિધ ભાતીગળ કલાકસબથી સંપન્ન આ સમુદાયો જમીન, મકાન, સ્થાયી વ્યવસાય અને આજીવિકાના પ્રશ્નો સામે ઝઝૂમતા આવ્યા છે. પોતાની સફર દરમિયાન અન્યાય, અવહેલના અને અત્યાચારનો ભોગ પણ બન્યા છે. આ વાર્તાઓ તેમની ઉઝરડાભરી સફરનો જાણે આયનો છે. ચામઠા, વાદી, વીસપડા, બહુરૂપી, મદારી જેવી અનેક જનજાતિઓના પ્રશ્નો અને તેમને થયેલા આકરા અનુભવોને આ વાર્તાઓમાં વાચા મળી છે.
દરેક વાર્તાનું કથાવસ્તુ કોઈ વાસ્તવિક પ્રશ્નની આસપાસ ગૂંથાયેલું છે, પરંતુ કાનજીભાઈએ પોતાના કલ્પનાવિશ્વને પણ વિસ્તારીને વાર્તાઓને વધુ વેધક બનાવી છે. આ વાર્તાઓમાં આ સમુદાયોએ વર્ષોથી સેવેલું મૌન તૂટ્યું છે, તેમની આંખોમાં થીજી ગયેલાં આંસુઓને પીગળવાનો મોકો મળ્યો છે, તેમના આત્મા પર પડેલા અદૃશ્ય જખમોને આકાર મળ્યો છે.
ભાષાશૈલીની વાત કરીએ તો એમાં આદિવાસી લહેકો અને તળપદી મીઠાશ ઝિલાઈ છે. વાર્તાનાં પાત્રો જિવાતા જીવનમાંથી અવતરેલાં હોઈ વાર્તાઓને મૌલિકતા બક્ષે છે.
કોઈ તનાવગ્રસ્ત સ્થિતિમાં ઘટતી ઘટનાઓ અને એમાં આવતા અણધાર્યા અને અનપેક્ષિત વળાંકો મોટા ભાગની વાર્તાઓને સાહિત્યિક ઊંચાઈ પર લઈ જાય છે.
આદિવાસી અને વિમુક્ત, વિચરતી જાતિઓના જીવનસંઘર્ષને તાદૃશ્ય બનાવતી આ વાર્તાઓ તેમના પ્રત્યે સહાનુભૂતિ જગાવી મુખ્ય પ્રવાહમાં જીવતા સમાજને તેમના માટે વિચારતો કરી મૂકશે.