તુષાર શુક્લ
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે.
પરંતુ ચોવીસ કલાક મહોરાં પહેરવાં અઘરાં છે. ચહેરાને મહોરાનો થાક લાગે છે. એટલે થોડીક તાજી હવા જરૂરી બને ત્યારે ચહેરા પરથી મહોરાં ઉતારવાં જરૂરી બને છે. ને ત્યારે જીવનનો એક જુદો જ પરિચય થાય છે.
‘સહજનામા’ એ જીવનનો આવો સહજ પરિચય કરાવતી ક્ષણોનો સંપુટ છે. એમાં કશું અનોખું નથી જ પણ એનું આમ સહજ હોવું સ્વયમ્ જ અનોખું છે.
‘સહજનામા’ તમને પણ તમે માણેલી એવી ક્ષણોને મમળાવવાની તક તો આપશે જ ને આલેખવાની પણ... એમ પણ બને.