આર. ડી. પટેલ
સતત બદલાતી દુનિયા અને એ બદલાવ સાથે તાલ મિલાવતો આજનો માનવી. બદલાતી સંસ્કૃતિ, રીતિ-રિવાજો, બદલાતા સંબંધોની વચ્ચે ભૌતિક રીતે સમૃદ્ધ માનવી પોતાની જાતને એકલો અનુભવે છે. બધું જ મેળવવા રઘવાયો બનેલો માનવી બધું મેળવ્યા બાદ અંતે અધૂરો રહી જાય છે. વતનથી દૂર પોતાની એક નવી દુનિયા ઊભી કર્યા બાદ એ દુનિયા એને રુચતી નથી. એક તરફ ઈચ્છાઓ, લાલસાઓ, મહત્વકાંક્ષાઓ અટકવાનું નામ લેતી નથી અને બીજી બાજુ બદલાવના કારણે વધતું જતું દબાણ - તણાવ - હતાશા - નિરાશા.
બિનનિવાસી ગુજરાતીઓ અને તેમની જીવનશૈલીનું માર્મિક નિરીક્ષણ કરનાર શ્રી આર.ડી. પટેલ આધુનિક સમયમાં માણસને મૂંઝવતા આવા દરેક પ્રશ્નની છણાવટ કરી તેનું સમાધાન કરવાનો પ્રયાસ આ પુસ્તક દ્વારા કરી રહ્યા છે.
સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા માણસને અટકી જઈ સંતુષ્ટિ તરફ વળવાનું કહે છે. બદલાતી જતી સામાજિક પરિસ્થિતિઓના દબાણ હેઠળ પ્રેશરકુકર જેવા બની ગયેલા માણસના મનને બધું જતું કરી વરાળ કાઢી હળવા બનવાનું કહે છે. અન્યનું અનુકરણ કરી દંભ, આડંબર, છેતરપિંડી, છળ-પ્રપંચ અને અપ્રમાણિકતામાં ખૂંપી ગયેલા માણસને એમાંથી બહાર નીકળવાનું આહ્વાન કરે છે. મોટીવેશનલ સ્પીકર્સ અને સંતો મહંતોનાં પ્રવચનો સાંભળી પોઝિટિવ બનાવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં માણસને પોતાની અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરી જીવવાની વાત કહે છે. આજના સમયમાં લગ્નજીવનમાં આવતા પડકારોની ખુલીને વાત કરી છે અને એક આદર્શ લગ્નજીવન જીવવા માટેના આધારભૂત નિયમો પર પ્રકાશ પાડે છે. બદલાતા સમાજની વાસ્તવિક તસવીર રજુ કરતા આ લેખો આજના માનવીને આયનો બતાવે છે. દુનિયાની આંધળી રેસમાં આંખો બંધ કરી દોડતા ક્ષણભર માટે થંભી, વિચારવા પ્રેરતું આ પુસ્તક માણસને પોતાની મૂળ ઓળખ પાછી મેળવવાની તક પૂરી પાડે છે.