આર. ડી. પટેલ
પરિવર્તન જીવનનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ જે ઝડપે બધું બદલાઈ રહ્યું છે, બિહામણું લાગે છે. જીવવાની શૈલી બદલાઈ ગઈ. સંબંધોની ભાત બદલાઈ ગઈ. મૂલ્યો પણ બદલાયાં. કુદરતી પરિબળો પણ બદલાયાં. માણસ કુદરતની સામે બાંયો ચઢાવી રહ્યો છે!
વ્યક્તિગત રીતે ધીરજ ટકાવી રાખવી, મૂલ્યોને અકબંધ રાખવાં કે પછી આંતરિક શાંતિને સાચવી રાખવી એ રોજબરોજના પડકારો છે. આપણી આજુબાજુ જે કંઈ બની રહ્યું છે એ બાબતો પ્રત્યે વાસ્તવિક દૃષ્ટિબિંદુ રાખી, આપણાથી જે થઈ શકે એ કરવું એ એક સબળ ઉપાય છે. કારણ કે સુખ અને શાન્તિ બહારથી આવતાં નથી. ‘મઝામાં રહેવું’ એ અંગત બાબત છે અને અંગત પસંદગી છે.