વીનેશ અંતાણી
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીના નિબંધસંગ્રહ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોમાં એમણે જાત સાથે કરેલી અંગત અને આપણા સૌની વાતો છે. કોઈ સંવેદનશીલ સર્જક મુંબઈ જેવા મહાનગરમાં એકલો પડે ત્યારે એનું ભાવવિશ્વ અલગ જ રૂપમાં પ્રગટ થાય છે. સર્જનાત્મકતાથી છલકાતા આ નિબંધો વાંચતાં લાગે છે કે વીનેશભાઈ આપણને પાસે બેસાડી એમનાં અંગતતમ સંવેદનોની વાત સહજ ભાવે માંડે છે. જે સમયમાં એ પોતે ડૂબ્યા એમાં વાંચકોને ખેંચી જાય છે. પારદર્શક અને લયાત્મક ગદ્ય આ ઉત્તમ નિબંધોનું આગવું લક્ષણ છે. ગુજરાતી વાંચકોએ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોને પોતાના માન્યા છે અને પ્રેમથી વધાવ્યા છે.