રમણ સોની
આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા લઘુનિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી જાય છે ને ખીલતી જાય છે. સંવેદનની ભિનાશવાળા આ નિબંધો વાતવાતમાં વાચકને વિચારતો કરી દે છે ને એમાંનો સર્જક ઉદ્ગાર એને પ્રફુલ્લિત કરી દે છે.
નિબંધોનો વિષયવ્યાપ વૈવિધ્યનો આનંદ પણ આપે છે. એનાં લાક્ષણિક શીર્ષકો જ જુઓ ને! ઃ ‘દર્પણ સમ જલ હોય’, ‘મકાન એ જ ઘર?’, ‘આંગણું અને પરસાળ’, ‘સ્વીકાર અને શરણાગતિ’, ‘શકાર સાચું કે સકાર?’, ‘ગુજરાતી આંકડા, કેવા વાંકડા!’, ‘કવિ ધીરાની ભૂંગળી અને ફેસબુક.’
વિચારો ચિંતનના ગઠ્ઠારૂપે નહીં પણ વિશ્વાસભરી ગોષ્ઠીના રૂપમાં રજૂ થયા છે. વાતો કરતાં કરતાં લેખક ક્યાંક ગુજરાતી, સંસ્કૃતમાંથી પંક્તિઓ ટાંકે છે એ માર્મિક છે ને પ્રવાહમાં સહેજ વહેતી રહી છે. છેલ્લો નિબંધ ‘કેવો લાગું છું હું, મને?’માં એમની લખાવટનો જાણે મુખ્ય સૂર છે. વાત વરસાદથી શરૂ થાય છે ને પછી કોઈ પુસ્તકના ને પછી કોઈ વ્યક્તિના ‘વાછંટ’ જેવા પ્રથમ પરિચયથી લઈને ‘પલળવું’ જેવા સઘન પરિચય સુધી ને છેલ્લે ‘હું’ કેવો લાગું છું ‘મને?’ - ત્યાં સુધી લઈ જાય છે. નિબંધોનું વિશિષ્ટ સર્જનાત્મક ગદ્ય વિવેચક રમણ સોનીનો પણ એક નવો, પ્રસન્નકર પરિચય કરાવે છે.